બોરીવલી: આ સોસાયટીના રિડેવલપમેન્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ, સભ્યોને જાણ કર્યા વગર પ્લાન પાલિકામાં રજૂ

20 April, 2026 09:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૅનેજિંગ કમિટીના આ પગલાં સામે હવે સોસાયટીના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો છે. મધુમિલન સોસાયટીના સભ્યોએ ગઈ કાલે મૅનેજિંગ કમિટીના કથિત ભ્રષ્ટાચાર સામે રક્ષણ મેળવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.

સોસાયટીના સભ્યોએ વિરોધ કર્યો હતો

બોરીવલી પશ્ચિમમાં એસ વી રોડ પર ઈન્દ્રપ્રસ્થ શૉપિંગ સૅન્ટર સામે આવેલી મંગલકુંજ તરીકે ઓળખાતી મધુમિલન સોસાયટીમાં 200 થી વધુ સભ્યો રહે છે. 66 વર્ષ જૂની આ સોસાયટીની મૅનેજિંગ કમિટીએ જૂની ઈમારતોના રિડેવલપમેન્ટ માટે સભ્યોની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના એટલે કે સભ્યોને અંધારામાં રાખી બૃહન્મુંબઈ મહાનગર પાલિકામાં રિડેવલપમેન્ટ કરવા માટે પ્લાન સબમિટ કરવા આવ્યો છે. મૅનેજિંગ કમિટીના આ પગલાં સામે હવે સોસાયટીના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો છે. મધુમિલન સોસાયટીના સભ્યોએ ગઈ કાલે મૅનેજિંગ કમિટીના કથિત ભ્રષ્ટાચાર સામે રક્ષણ મેળવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.

સભ્યોનીએ શું કહ્યું?

મધુમિલન હાઉસિંગ સોસાયટીના સભ્ય વિરલ સાવલાએ જણાવ્યું હતું કે “અમારી સોસાયટીની મૅનેજિંગ કમિટીએ સાડાચાર વર્ષમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે અમારી લડત ચાલું છે. સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્ર સયાણીએ પોતે સોસાયટીના માલિક હોવાનો દાવો કરી પાલિકામાં અમારી સોસાયટીને રિડેવલપમેન્ટ કરવાનો પ્લાન પાલિકામાં રજૂ કરી મોટું કાવતરું કર્યું હોવાનું અમારા ધ્યાનમાં આવતા અમે બધા ચોંકી ગયા છે. આ પ્લાન ગયા વર્ષે પાલિકામાં મૂકવામાં આવ્યો હતો, જેની કોઈને પણ જાણ કરવામાં આવી નહોતી. સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈ પણ સેક્રેટરી આવી રીતે પોતે સોસાયટીનો માલિક બની ન શકે. અમારા ધ્યાનમાં આ વાત આવતા અમે 111 સભ્યોની સહી સાથેનો પત્ર પાલિકાના બિલ્ડિંગ વિભાગમાં 5 એપ્રિલે સોંપ્યો છે. પ્લાનમાં સોસાયટીના દુકાનદારોને પાછળના ભાગમા જગ્યા ફાળવી આગળનો ભાગ વેચાણ માટે રાખી કરોડો રૂપિયાની કમાણી કરવાનું કાવતરું હતું. સદ્નનસીબે પ્લાન અમારા હાથમાં આવી જતાં અમે બચી ગયા.”

વિરલ સાવલાએ વધુમાં આરોપ કર્યો કે “મૅનેજિંગ કમિટીને સબ રજિસ્ટ્રારે બરખાસ્ત કરી છે અને જોઈન્ટ રજિસ્ટ્રારે કોઈ પણ નવા કામ કરવા સિવાયનો વ્યવહાર જ કાયમ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે સભ્યોએ પ્રોપર્ટી ટૅક્સના રૂપિયા સોસાયટીમાં જમા કરાવ્યા હોવા છતાં કમિટીએ 79 લાખ રૂપિયા પાલિકામાં ભર્યા નથી. મૅનેજિંગ કમિટીથી સભ્યો પરેશાન થઈ ગયા છે. તમામ સંબંધિત જગ્યાએ આ અંગે રજૂઆત કરી હોવા છતાં કંઈ પરિણામ આવ્યું નથી. આ કારણે હવે અમે તમામ સભ્યોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે ન્યાયની માગણી કરી છે.” મધુમિલન સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્ર સયાણી સાથે આ બાબતે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો હતો, પણ તેમની સાથે વાત નહોતી થઈ શકી.

borivali real estate devendra fadnavis brihanmumbai municipal corporation gujarati community news gujaratis of mumbai