23 May, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર (ફાઇલ તસવીર)
દેશભરમાંથી પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવતા ભાવિકોને મંદિર વિસ્તારની આસપાસ છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. રોજ ભક્તોનો પ્રવાહ દર્શન માટે આવતો હોય છે. એમાં પણ મંગળવારે અને સંકષ્ટી (ચોથ)ના દિવસે વધુ રશ રહે છે. આ ઉપરાંત ગણેશોત્સવના ૧૦ દિવસ દરમ્યાન પણ ભક્તો દર્શન માટે વધુ આવતા હોય છે.
કનેક્ટિવિટી અને ટ્રાફિકનું દબાણ ઘટાડવાના હેતુથી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)એ A-45 રૂટ પર ‘શ્રી સિદ્ધિવિનાયક ફેરી’ નામની નવી ઍર-કન્ડિશન્ડ (AC) સર્ક્યુલર બસસેવા શરૂ કરી છે. આ સેવા આજથી કાર્યરત થશે.
નવો રજૂ કરાયેલો AC રૂટ દાદર સ્ટેશન (પશ્ચિમ) અને પ્રભાદેવી મંદિર વચ્ચે કાર્યરત થશે. BESTના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સેવા ખાસ કરીને ભક્તો, વરિષ્ઠ નાગરિકો અને દૈનિક મુસાફરો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઘણી વાર મંદિર-પટ્ટામાં ભીડ અને ટ્રાફિક જૅમનો સામનો કરે છે.
બસના ટાઇમટેબલ મુજબ પહેલી બસ દાદર સ્ટેશનથી સવારે ૭ વાગ્યે ઊપડશે, જ્યારે છેલ્લી બસ રાત્રે ૧૦.૫૫ વાગ્યે ઊપડશે. દિવસભર બસ વીસથી બાવીસ મિનિટના અંતરાલમાં દોડશે.
આ સર્ક્યુલર રૂટથી રેલવે-સ્ટેશનથી મંદિર વિસ્તાર સુધી મુસાફરી કરતા મુસાફરોને ટૅક્સી કે ખાનગી વાહનો પર વધુ આધાર રાખ્યા વિના સરળ અવરજવર મળશે એવી અપેક્ષા છે.