મુંબઈમાં દહેજના કેસમાં ચિંતાજનક વધારો

13 October, 2025 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષના પહેલા ૭ મહિનામાં ૩૦૫ કેસ નોંધાયા, પાંચ મહિલાઓએ આત્મહત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

દહેજનું દૂષણ સમાજમાંથી દૂર થવાને બદલે વધુ વ્યાપક બનતું જાય છે. આ વર્ષે મુંબઈમાં દહેજ સંબંધિત કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જુલાઈ ૨૦૨૫ સુધીમાં દહેજ માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસ અપાતો હોય એવા કુલ ૩૦૫ કેસ નોંધાયા છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨૩૫ કેસ નોંધાયા હતા. આ વર્ષે ૭૦ કેસ વધ્યા છે.

મુંબઈ પોલીસના રેકૉર્ડ મુજબ દહેજ માટે અત્યાચાર થતો હોવાના કારણસર પાંચ મહિલાઓએ  આત્મહત્યા કરી છે. ૪ અન્ય મહિલાઓએ એવા સંજોગોમાં પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં તેમના પતિ અને સાસરિયાંની શંકાસ્પદ ભૂમિકા જણાઈ હતી.

માત્ર દહેજ જ નહીં, અન્ય ઘણાં કારણોસર પરિણીત સ્ત્રીને સાસરામાં હિંસા અને અત્યાચારનો ભોગ બનવું પડે છે. પોલીસના ડેટા મુજબ આ વર્ષે ૧૨ મહિલાઓએ આત્મહત્યા કરી હતી અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી ૮ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈ ૨૦૨૫ સુધીમાં શારીરિક અને માનસિક અત્યાચારના ૩૦૩ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૪માં સમાન સમયગાળા દરમિયાન આ આંકડો ૨૮૪ હતો.

૩૦૫માંથી ૨૭૧ કેસ સૉલ્વ

મુંબઈમાં દહેજ સંબંધિત કેસોમાં વધારો થયો છે, તો સામે મુંબઈ પોલીસ દ્વારા આવા કેસો ઉકેલવામાં સફળ પણ રહી છે. દહેજ સંબંધિત ૩૦૫ કેસમાંથી ૨૭૧નો ઉકેલ લાવવામાં આવ્યો છે અને ૩૦૩ ઘરેલુ હિંસાના કેસમાં ૨૬૮ કેસમાં હજુ કાર્યવાહી ચાલુ છે.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news maharashtra news maharashtra suicide