20 September, 2019 10:17 AM IST | મુંબઈ | રાજેન્દ્ર બી. અકલેકર
ઘાટકોપર રેલવે ને મેટ્રો સ્ટેશન પર સુધારાનો યુદ્ધના ધોરણે આરંભ
મધ્ય રેલવે અને મેટ્રો વન કંપનીઓની ટીમોએ ગઈ કાલે રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સગવડો માટેનાં સુધારાનાં કાર્યો શરૂ કર્યાં હતાં. ગઈ કાલે સવારે કર્મચારીઓએ પ્રવાસીઓની બસ-સ્ટૉપ તરફની ગતિમાં અવરોધરૂપ બનતી દીવાલોના વધારાના હિસ્સા તોડ્યા હતા.
ડિવિઝનલ રેલવે મૅનેજર સંજય જૈને જણાવ્યું હતું કે ‘મેટ્રો ઍલિવેટર રૅમ્પ અને પ્લૅટફૉર્મ તરફ જવામાં લોકોને પડતી તકલીફ દૂર કરવા અને એ ભાગમાં છાપરું બાંધવાના કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘાટકોપર રેલવે સ્ટેશનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની દિશાના છેડે મોટું બાંધકામ પણ તોડીને પ્રવાસીઓ માટે મોકળાશ થાય એ રીતે ફરી બાંધવામાં આવશે. તોડકામ શરૂ કરવા માટે એ ભાગનાં ટિકિટ-કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યાં છે.’
આ પણ વાંચો : બાંદરા-ઈસ્ટમાં જવાનો માર્ગ બન્યો વધુ દુષ્કર
મેટ્રો સ્ટેશન પર મુંબઈ મેટ્રોની ટીમે ફૂડ સ્ટૉલ્સ હટાવવાની શરૂઆત કરી છે. મેટ્રો સ્ટેશન પર ભેગા થતા લોકો રેલવે ફુટઓવર બ્રિજ તરફ ન ધકેલાય એવું આયોજન કરવામાં આવશે. ચાર તબક્કાની કામગીરીમાં સૌપ્રથમ સ્ટેશન મૅનેજર ઑફિસ એન્ટ્રી પૉઇન્ટ તરફ લઈ જવામાં આવશે. બીજા તબક્કામાં રિટેલ ફૂડ કાઉન્ટર્સ ખસેડવામાં આવશે. ત્રીજા તબક્કામાં મધ્ય રેલવેનાં ટિકિટ-કાઉન્ટર્સ ખસેડવામાં આવશે. ચોથા તબક્કામાં ઑટોમેટેડ ફેર કલેક્શન સેન્ટર્સના ગેટ્સ પાછા ખસેડવાના કાર્યનો સમાવેશ છે. ગઈ કાલે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પરનો એક ફૂડ-સ્ટૉલ હટાવવામાં આવ્યો અને બીજો સ્ટૉલ હટાવવાની તૈયારી કરવામાં આવી હતી.