26 October, 2019 09:35 AM IST | મુંબઈ | રણજિત જાધવ
આદિત્ય ઠાકરે
યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરે ગુરુવારે વરલી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા બાદ સોશ્યલ મીડિયામાં બુધવારે તેણે ચૂંટણીપ્રચાર વખતે આપેલા વચનને યાદ કરાવતાં ‘આદિત્ય તેરા વાદા’ના મેસેજનો મારો ચાલ્યો હતો. આદિત્ય ઠાકરેએ વૃક્ષ કાપવાના નિર્ણયનો વિરોધ કરીને આરેને જંગલ જાહેર કરવા બાબતે કરેલા દાવા વિશે મુંબઈગરાઓઆ અને કુદરતપ્રેમીઓએ ટ્વીટ કર્યાં હતાં.
પાલિકાના આરેમાં મેટ્રો કારશેડ બાંધવાના નિર્ણયનો આદિત્ય ઠાકરે અને શિવસેનાએ વિરોધ કર્યો હતો. આદિત્યએ રાતે આરેનાં વૃક્ષ કાપવા માટે એમએઆરસીએલ અને એના અધિકારીઓની પણ ભારે નિંદા કરી હતી.
ત્યાર બાદ ઘણા લોકોએ આદિત્યને માત્ર ટ્વિટર-ઍક્ટિવિસ્ટ હોવા બાબતે ટીકા કરી હતી. એના જવાબમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે સત્તામાં આવશે તો આરેને જંગલ ડિકલેર કરાશે. જોકે શિવસેનાના ચૂંટણીના મેનિફેસ્ટોમાં આરે મિલ્ક કૉલોનીનો ઉલ્લેખ જ નહોતો. ગુરુવારે જાહેર થયેલા ચૂંટણીનાં પરિણામમાં ૨૯ વર્ષનો આદિત્ય ઠાકરે મોટા માર્જિનથી વિજયી થયો હતો.
ટ્વિટરનો ઉપયોગ કરતા અને ઍક્ટિવિસ્ટ સાહિલ એમ. પારસેકરે રિઝલ્ટ જાહેર થતાની સાથે જ ટ્વીટ કર્યું હતું કે ‘હવે શિવસેના સત્તામાં છે. હું આદિત્ય ઠાકરેને વિનંતી કરું છું કે તેઓ આરેને જંગલ જાહેર કરવાનું વચન પાળે.’
મતદારોએ નોટા બટન દબાવ્યું
જોગેશ્વરી-ઈસ્ટ વિધાનસભા મતદાર ક્ષેત્રમાં આરે કૉલોનીનો કેટલોક ભાગ આવે છે. અહીં મતદારોએ નોટાનો ઉપયોગ કરીને નારાજગી દર્શવી હતી. આ બેઠક પર થયેલા કુલ મતદાનના ૮.૦૮ ટકા એટલે કે ૧૨,૦૦૯ નોટા મત નોંધાયા હતા. આ બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર રવીન્દ્ર વાયકર ૯૦,૪૦૧ (કુલ મતદાનના ૬૦.૮૨ ટકા) મત મેળવીને વિજયી થયા હતા.
અન્ય એક સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાએ ટ્વીટ કર્યું હતું કે ‘આદિત્ય ઠાકરે તમે હવે સત્તામાં છો. માત્ર ટ્વિટર પર જ નહીં, હવે તમારી તાકાતથી ઍક્શન લેવાનો સમય આવી પૂગ્યો છે.’
આ પણ વાંચો : સવારે ભાઈંદરથી ઊપડતી લોકલના ધાંધિયાથી પ્રવાસીઓ હેરાન-પરેશાન
તપાસની માગણી
સપ્ટેમ્બરમાં આદિત્ય ઠાકરેએ પર્યાવરણવિદો સાથેની પત્રકાર-પરિષદમાં આરેમાં જૈવ વિવિધતાની બાબતે ભાર મૂક્યો હતો. આ બાબતના નિષ્ણાતે સૂચન કર્યું હતું કે આરેમાં મેટ્રો કારશેડ બનાવવાના નિર્ણય બાબતે તપાસ કરવાની માગણી કરવી જોઈએ. ચૂંટણીના રિઝલ્ટ બાદ એક ટ્વિટરિસ્ટે સવાલ કર્યો હતો કે ‘ચૂંટણીઓમાં વચન આપનારા રાજકારણીઓ કરતાં તમે તેમનાથી જુદા છો એ પુરવાર કરવું પડશે. તેઓ બાદમાં જે બોલ્યા હોય એના વિશે કંઈ કરતા જ નથી. તમે જે વચન આપ્યું છે એનું પાલન કરશો? તમે બીજા નેતાઓ કરતાં જુદા છો? આદિત્ય તેરા વાદા સેવ આરે ફૉરેસ્ટ.