સવારે ભાઈંદરથી ઊપડતી લોકલના ધાંધિયાથી પ્રવાસીઓ હેરાન-પરેશાન
રેલવેની બેદરકારીથી લાંબા સમયથી ત્રાસ સહન કરી રહેલા પ્રવાસીઓ.
સવારે ધસારાના સમયે ભાઈંદરથી ઊપડતી લોકલ ટ્રેનના દરરોજના ધાંધિયાથી મીરા-ભાઈંદરના પ્રવાસીઓ કંટાળી ગયા છે. આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા ભાઈંદરના અંદાજે ૧૦૦ જેટલા પ્રવાસીઓએ ભેગા થઈને સહીઝુંબેશ હાથ ધરી હતી અને રેલવેના અધિકારીઓને એક પત્રમાં ફરિયાદ લખી મોકલીને ઉકેલ લાવવાની અપીલ કરી હતી.
રેલવે અધિકારીને અંગ્રેજી અને મરાઠી બન્ને ભાષામાં પ્રવાસીઓએ સહી કરીને એવી ફરિયાદ કરી છે કે ભાઈંદરથી દરરોજ હજારો પ્રવાસીઓ નોકરી પર જાય છે અને ટ્રેનો મોડી પડવાને લીધે તેઓ નોકરીએ મોડા પહોંચે છે અને અનેક વાર માલિકો તેમનો અડધા દિવસનો પગાર કાપી લે છે. નોકરીએ મોડા પહોંચતા હોવાને કારણે તેઓ માલિકના ગુસ્સાનો પણ ભોગ બને છે.
ADVERTISEMENT
મીરા રોડના રહેવાસી અને સહીઝુંબેશ ચલાવનારા ગોડવિન ડિસોઝા એક ઑટોમોબાઇલ કંપનીમાં સેલ્સ ટ્રેઇનર છે. ડિસોઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ૧૯૯૦થી ભાઈંદર-ચર્ચગેટ ટ્રેનમાં પ્રવાસ કરું છું. દરરોજ હું સવારની ૭.૪૩ વાગ્યાની ટ્રેનમાં બેસું છું અને એ ટ્રેનનો ચર્ચગેટ સ્ટેશને પહોંચવાનો અપેક્ષિત સમય ૮.૪૪ વાગ્યા છે, પણ છેલ્લા એક વર્ષથી આ ટ્રેન ૨૦થી ૨૫ મિનિટ મોડી જ પહોંચે છે. વિરાર લોકલ ટ્રેનને હંમેશાં પ્રાથમિકતા અપાતી હોવાને લીધે ભાઈંદર લોકલ ટ્રેન મોડી પડતી હોવાનું પણ એક કારણ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે જનતાને ભરોસો છે : નરેન્દ્ર મોદી
ભાઈંદર રેલવે સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાઈંદરથી સવારે ઊપડતી ટ્રેન તો એના સમયે રવાના થાય છે, પણ ચર્ચગેટ પહોંચતા સુધીમાં એ કયા કારણે મોડી પડે છે એનું કારણ અમને નથી સમજાતું.’