08 November, 2019 12:03 PM IST | Mumbai | Dharmendra Jore
ઉદ્ધવ ઠાકરે
મુખ્ય પ્રધાન પોતાને જુઠ્ઠો સાબિત કરવા ઉત્સુક હોવાનું ઉદ્ધવ ઠાકરેએ કહ્યા પછી મહારાષ્ટ્રમાં ભગવી યુતિ લગભગ તૂટી પડવાને આરે પહોંચી છે. એ માહોલમાં શિવસેનાનાં આંતરિક વર્તુળો ફડણવીસ અને તેમના પક્ષના નેતાઓ પરિસ્થિતિને સુધારી લે એવું ઇચ્છે છે. જોકે ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે પરસ્પર સૌહાર્દતાને ધ્યાનમાં લેતાં સ્થિતિ સુધરવાની શિવસૈનિકોને અપેક્ષા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ તરફ બિનશરતી રીતે મૈત્રીનો હાથ લંબાવીને માફી માગવા જેવી રીત અપનાવીને ઉદ્ધવને શાંત પાડે એવી તેઓ અપેક્ષા રાખે છે.
બીજી તરફ, શનિવારે એટલે આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિસર્જન કરાશે એવી પરિસ્થિતિમાં રાજ્યપાલ પાસે બહુ ઝાઝા વિકલ્પ નથી રહેતા. રાજ્યપાલ રાષ્ટ્રપતિશાસન લાદી શકે અથવા વિધાનસભાના એક વરિષ્ઠ અધિકારીની વાત માનીએ તો તેઓ બીજેપી અને શિવસેના સમાધાન ન કરે ત્યાં સુધી ફડણવીસ પ્રધાનમંડળને રખેવાળ સરકાર તરીકે ચાલુ રહેવાનું કહી શકે.
ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભ્યોને જણાવ્યું હતું કે ‘વારાફરતી મુખ્ય પ્રધાન બનાવવામાં પહેલાં કોણ મુખ્ય પ્રધાન બનશે એ મુદ્દો નથી, પરંતુ શિવસેનાને ક્યારેય અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદની ઑફર કરવામાં ન આવી હોવાનું ફડણવીસના બયાન સામે મને વાંધો છે. તેઓ મને ખોટો સાબિત કરવા ઇચ્છે છે.’
આ પણ વાંચો : રેલવેના સર્વેક્ષણમાં મહિલા પ્રવાસીઓએ રેલવેની જ ઝાટકણી કરી
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ફડણવીસ મને જુઠ્ઠો સાબિત કરવા પ્રયત્નશીલ છે. હું બીજેપીને ભીંસમાં મૂકવાના ઇરાદે માગણીઓ કરતો નથી. ગયા ફેબ્રુઆરી મહિનામાં બીજેપીના નેતાઓએ આપેલું વચન તેમને યાદ કરાવું છું. તે લોકોએ જે બાંયધરી આપી હતી એનાથી કંઈ ઓછું કે વધારે જોઈતું નથી. મુખ્ય પ્રધાનપદ તેમને મળે કે અમને મળે એ મુદ્દો નથી. મુખ્ય પ્રધાને ખોટું નિવેદન કર્યું છે.’