07 April, 2021 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કૉલરશિપની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ
રાજ્યમાં મિની લૉકડાઉનનો ગઈ કાલે પહેલો દિવસ હતો. જોકે એમ છતાં દેશભરમાં ગઈ કાલે કેન્દ્ર સરકારની નૅશનલ મીન્સ કમ મેરિટ સ્કૉલરશિપ એક્ઝામનું આયોજન કરાયું હતું, જેમાં પૂરતી કાળજી રાખી વિદ્યાર્થીઓની ઑફલાઇન એક્ઝામ લેવાઈ હતી. બોરીવલી-વેસ્ટની ગોખલે સ્કૂલમાં આઠમા ધોરણના ૧૯૫ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. આખા દિવસમાં બે પેપર હતાં, જેમાં એક સવારના ૧૦.૩૦થી ૧૨.૩૦ અને બીજું ૧.૩૦થી ૩.૩૦. વચ્ચે એક કલાક તેમને લંચનો આપવામાં આવ્યો હતો.
ગોખલે સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર બંદછોડેએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક્ઝામ કેન્દ્ર તરફથી લેવામાં આવે છે, જેમાં એસસી, એસટી અને ગરીબ વર્ગનાં બાળકો હોય છે. આ એક્ઝામમાં જે વિદ્યાર્થી પાસ થાય તેમને કેન્દ્ર સરકારની ૧૨૦૦ રૂપિયાની વાર્ષિક સ્કૉલરશિપ મળતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ગાઇડલાઇન્સને આધારે વિદ્યાર્થીઓની પૂરતી કાળજી લેવામાં આવી હતી. માસ્ક કમ્પલસરી હતો. દરેક વિદ્યાર્થીના હાથ સૅનિટાઇઝ કરાવાતા હતા અને તેમનું ટેમ્પરેચર પણ થર્મલ ગનથી માપવામાં આવતું હતું. વળી આખી સ્કૂલ પણ અમે સૅનિટાઇઝ કરાવી હતી. વર્ગોમાં પણ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ બાળકો માટે આગળ જઈ એમપીએસસી કે યુપીએસસીની પરીક્ષાઓ દેવા માટે આસાની રહે એ ઉદ્દેશથી લેવામાં આવતી હોય છે. એ પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે લેવાય છે.’