12 June, 2019 06:37 PM IST | ગીર સોમનાથ
સોમનાથ : વાયુ વાવાઝોડું આવતીકાલે વહેલી સવારે ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું છે, ત્યારે તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકિનારે વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈ પાસેથી પસાર થઈ રહેલા વાવાઝોડાની અસર મુંબઈમાં પણ વર્તાઈ રહી છે. મુંબઈમાં પણ પવનની ગતિ વધી છે, ત્યારે ગુજરાતમાં તો તોફાન પહેલા જાણે કાળ ત્રાટકી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થવાનું છે. ત્યારે વેરાવળમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વેરાવળમાં જબરજસ્ત ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળની આંધી આવી રહી છે અને વરસાદી છાંટા પણ શરૂ થઈ ચૂક્યા છે. પવન એટલો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
વાયુ વાવાઝોડાના કોપથી ભગવાન સોમનાથનું મંદિર પણ નથી બચી શક્યું. સોમનાથ મંદિરમાં પણ ભયાવહ માહોલ છવાયો છે.
જુઓ વીડિયો
વીડિયોમાં દેખાય છે કે સોમનાથમાં જબરજસ્ત વાદળો છવાયેલા છે. કાળા ડિબાંગ વાદળોના કારણે વાતાવરણ ભયાનક બન્યું છે. તો પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનનો અવાજ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. પવનની સાથે સાથે એટલી ધૂળ ઉઢી રહી છે કે પરિસરમાંથી જ મંદિર માંડ માંડ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, વાવાઝોડું કેટલે પહોંચ્યું
વાવાઝોડાને કારણે સોમનાથનો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. મંદિર સૂનકાર પડ્યું છે. વેરાન પડ્યું છે. માત્ર ગણતરીના લોકો જ મંદિર પરિસરમાં હાજર છે.