05 December, 2025 08:14 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
ધોરડોમાં ભારતના નકશા આકારમાં બનેલા સરદાર સ્મૃતિવનની નયનરમ્ય તસવીર.
ભારતનાં ૫૬૨ રજવાડાંઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે કચ્છના ધોરડોમાં ભારતના નકશાના આકારમાં ૫૬૨ વૃક્ષોના છોડ વાવીને સરદાર સ્મૃતિવનને ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવતાં પહેલાં ધોરડોના સફેદ રણમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નઝારો માણ્યો હતો. અહીં ભૂપેન્દ્ર પટેલે કૅમલ-સફારીની સવારી કરીને રણની રમણીય સુંદરતાને નિહાળી હતી. તેમણે સફેદ રણ જોવા આવેલા સહેલાણીઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને સફેદ રણના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે ક્રાફ્ટ બજાર અને થીમ પૅવિલિયનની મુલાકાત લઈને અજરખવર્ક, કચ્છીવર્ક, બાંધણીવર્ક, રોગાન-આર્ટ સહિત પરંપરાગત વર્ક કરતા કારીગર બહેનો-ભાઈઓ સાથે ચર્ચા કરીને તેમને બિરદાવ્યાં હતાં અને તેમની કળા વિશે જાણકારી મેળવી હતી.