દેશમાં વસતા મોદી સમાજને એક છત નીચે લાવી એક સમાજ શ્રેષ્ઠ સમાજ બનાવાશે

20 May, 2023 08:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રવિવારે અમદાવાદમાં યોજાનારા સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં ભારતભરમાંથી મોદી સમાજના અગ્રણીઓ આવશે, દીકરા-દીકરીઓના વિવાહ સમાજના અલગ-અલગ ઘટકોમાં કરાવવા સામાજિક પહેલ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતમાં વસતા મોદી સમાજને એક છત નીચે લાવીને એક સમાજ શ્રેષ્ઠ સમાજ બનાવવા પ્રયાસો હાથ ધરવા માટે ગુજરાતમાં રવિવારે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનનું આયોજન કરાયું છે એટલું જ નહીં, દીકરા-દીકરીઓના વિવાહ સમાજના અલગ-અલગ ઘટકોમાં કરાવીને સમાજિક પહેલ કરવાનું સ્તુત્ય કાર્ય કરવા તેમ જ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપવા સહિતનાં સમાજલક્ષી કાર્યોનું સમાજ દ્વારા આયોજન થઈ રહ્યું છે.

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ અને દેશના મોદી સમાજના અન્ય ઘટકો દ્વારા સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન રવિવારે અમદાવાદના શાહીબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન ખાતે યોજાશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે; જ્યારે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના અધ્યક્ષ સોમાભાઈ મોદી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન અને સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના કાર્યકારી પ્રમુખ પૂર્ણેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજને એક તાંતણે બાંધવા માટે જે પ્રકારે ગુજરાતમાં કામ થઈ રહ્યું છે એ પ્રકારે સમગ્ર દેશભરમાં કામ થાય એના માટે એક સમાજ, શ્રેષ્ઠ સમાજની પરિકલ્પના સાથે ભવિષ્યનું આયોજન મહાસંમેલનમાં કરવામાં આવશે. ખાસ કરીને સમાજની અંદર જે પ્રકારે સામાજિક રીતે રોટી અને બેટીનો જે વ્યવહાર મૂળભૂત રીતે એક ઘટક બીજા ઘટકની અંદર સમાજિક તાણાવાણાથી બંધાય, એકબીજા નજીક આવે આ પ્રકારના ઉદ્દેશ સાથે ગુજરાતમાં ગુજરાતી મોઢ મોદી સમાજ કામ કરી રહ્યો છે. લગ્ન, મરણ અને અનેક પ્રસંગોમાં સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરીને નવા વિચારો સાથે સમાજ આગળ વધવાનો છે. સમાજમાં શિક્ષણનું સ્તર વધે એ માટે સમાજ પ્રયાસ કરી રહ્યો છે.’

દેશભરમાં ફેલાયેલા મોદી સમાજ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘ગુજરાત ઉપરાંત દેશમાં અનેક રાજ્યોમાં મોદી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. સૌથી વધુ છત્તીસગઢમાં, યુપીમાં અને બિહારમાં મોદી સમાજના લોકો રહે છે. યુપીમાં મોદી સમાજ રાઠોડ અને ગુપ્તા અટકથી ઓળખાય છે. આ ઉપરાંત સાઉથમાં કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત ૨૦ પ્રાંતમાં મોદી સમાજના અંદાજે બે કરોડ લોકો રહે છે.’

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના અધ્યક્ષ સોમાભાઈ મોદીએ કહ્યું હતું કે ‘અમારો સમાજ અલગ-અલગ ઘટકોથી જોડાયેલો છે ત્યારે અમે એને વધુ મજબૂત બનાવવાના છીએ. એકબીજાનાં દીકરા-દીકરીઓનાં લગ્ન એક ઘટકમાંથી બીજા ઘટકમાં થાય અને આ માટેની ઓળખ ઊભી થાય એ માટેના પ્રયત્નો છે. આવનારા સમયમાં સમૂહલગ્નની, છોકરા-છોકરીઓના પસંદગી મેળા સહિત સમાજ ઉપયોગી કાર્યવાહી થાય, છાત્રાલયો બને, બાળકો માટે યુપીએસસી, આઇએએસ, આઇપીએસનું કોચિંગ વિના મૂલ્યે મળે એવું આયોજન કરવાની લાગણી છે અન એ માટે વિચારવામાં આવશે.’

તેમણે કહ્યું હતું કે ‘આ મહાસંમેલનમાં દેશભરમાંથી ૨૦ પ્રાંતના ૧૫૦ પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે, જે અલગ-અલગ ઘટકો સાથે જોડાયેલા છે.’  

gujarat gujarat news ahmedabad