02 July, 2022 09:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં રથાયાત્રાનું ભાવભીનું સ્વાગત
અમદાવાદમાં ગઈ કાલે નીકળેલી રથયાત્રાનું શહેરના જમાલપુર, દરિયાપુર અને શાહપુર સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રા અને મહંત દિલીપદાસજી મહારાજનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર-ઠેર આવકાર મળ્યો હતો. જમાલપુર વિસ્તારમાં તાજિયા કમિટીના પરવેઝ મોમીન સહિતના આગેવાનોએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું સ્વાગત કર્યું હતું અને જલેબી ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. શાહપુર વિસ્તારમાં વિધાનસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહંત દિલીપદાસજી મહારાજ તેમ જ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને શાંતિના દૂત કબૂતરો ઉડાડીને કોમી એખલાસનો મેસેજ આપ્યો હતો અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તબક્કે કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને રથાયાત્રાને વધાવી હતી. ગ્યાસુદ્દીન શેખે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું પણ સ્વાગત કર્યું હતું.