10 May, 2022 10:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
રાહુલ ગાંધી આજે ગુજરાતના દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રૅલીમાં ઉપસ્થિત રહીને રૅલીને સંબોધશે. એટલું જ નહીં, રાહુલ ગાંધી જાહેર સભા સંબોધવા ઉપરાંત આદિવાસી વિસ્તારના અને પક્ષના આગેવાનો સાથે બેઠક કરીને સંવાદ કરશે.
ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે ‘આદિવાસી સમાજના હક અને અધિકાર માટે આજે દાહોદમાં નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મેદાનમાં આદિવાસી સત્યાગ્રહ રૅલીનું આયોજન કર્યું છે જેમાં કૉન્ગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી રૅલીને સંબોધન કરશે. આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ તેઓ વિશેષ સંવાદ યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે વાર્તાલાપ કરશે.’
તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘આ રૅલી બાદ કૉન્ગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે.’