24 January, 2023 10:20 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમદાવાદ : નવસારી જિલ્લાના ચીખલી પાસે આલીપોર બ્રિજ પર ગઈ કાલે વહેલી પરોઢે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થતાં ઘટનાસ્થળે જ સુરતના ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં, પોલીસે આપેલી માહિતી મુજબ ‘ગઈ કાલે વહેલી પરોઢે સાડાપાંચ વાગ્યે ઇનોવા કારના ડ્રાઇવરે પોતાની ગાડી બેફામ રીતે ગફલતભરી રીતે હંકારતાં એ ગાડી ડિવાઇડર કૂદીને સામેથી અમદાવાદથી મુંબઈ તરફ જતા કન્ટેનર સાથે અથડાઈ હતી. ગાડીમાં છ શખસો બેઠા હતા, એમાંથી ચાર જણ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. બે જણ ગંભીર રીતે ઘવાયેલા હતા જેઓને તાત્કાલિક સુરત સિવિલ હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ ગાડી મુંબઈ ઍરપોર્ટ તરફથી આવી રહી હતી.’
અમદાવાદ : ગુજરાતમાં ઠંડીનું જોર દિવસે-દિવસે વધતું જતાં ગુજરાત આખું ટાઢુંબોળ થઈ ગયું છે અને હજી પણ ત્રણ દિવસ કડકડતી ઠંડી પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડો પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગઈ કાલે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. એમાં પણ નલિયા કરતાં ગાંધીનગરમાં ઠંડીનો પારો વધુ ગગડ્યો હતો. ગાંધીનગરમાં મિનિમમ તાપમાન ૭.૮ અને નલિયામાં ૮ ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં યોજાયેલા સ્પર્શ મહોત્સવમાં રવિવારે પદ્મભૂષણ રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ૪૦૦મા પુસ્તક ‘સ્પર્શ’નો લોકાર્પણ સમારોહ રવિવારે યોજાયો હતો. મહારાજસાહેબે લખેલા આ પુસ્તકનું ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હીબ્રૂ, અંગ્રેજી, કન્નડ, તામિલ, પંજાબી સહિત ૧૬ ભાષામાં લોકાર્પણ થયું હતું.