26 June, 2019 08:16 AM IST | અમદાવાદ
ફાઈલ ફોટો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહનધારકો-ચાલકોને સરળતાથી CNG ગૅસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે એવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવાં CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગૅસ લિમિટેડ અને સાબરમતી ગૅસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બેસ્ટની બસનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા, રિક્ષા-ટૅક્સીવાળા ચિંતામાં
મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્રસચિવ એમ. કે. દાસ, ઊર્જાના અગ્રસચિવ પંકજ જોષી, GSPCના એમ.ડી. નટરાજન અને ગુજરાત ગૅસના CEO નીતિન પાટીલ તેમ જ વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.