14 November, 2020 10:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી છે. હાલ એહમદ પટેલને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.
ગયા મહિને જ કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા કોરોના વાયરસ સંક્રમિત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને પોતે આ વાતની માહિતી આપી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "રિપોર્ટમાં હું કોવિડ-19 પૉઝિટીવ (Covid-19 Positive) આવ્યો છે. હું હાલ મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તે પોતાને આઇસોલેટ કરી લે." તે વખતે પટેલ કૃષિ વિધેયકોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.