09 November, 2019 08:12 AM IST | Somnath
સોમનાથ મહાદેવ
મહા વાવાઝોડાના સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતાં ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાતો આ મેળો આ વર્ષ ૮ નવેમ્બરથી યોજાવાનો હતો. અગાઉ રાજ્યના દરિયાકાંઠે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. આજે સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ મેળો આગામી ૧૧-૧૫ નવેમ્બરમાં યોજાશે.
૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજીભાઈ દેસાઈએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલાં આ મેળો ૩ દિવસ માટે થતો હતો જે હવે છેલ્લાં ૧૦ વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે. આ મેળા પાછળ એવી માન્યતા છે કે કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાતે ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે પૂનમની રાતે બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય.