હું મત ન આપું તો બાપડાનો મત જતો રહે

22 February, 2021 11:24 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

હું મત ન આપું તો બાપડાનો મત જતો રહે

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા મતદાનમથકમાં મતદાન કરીને બહાર આવેલાં ૮૨ વર્ષનાં સવિતાબહેન પટેલ.

આંતરડાના ઑપરેશન દરમ્યાન લેવાયેલા ૩૫ ટાંકા હજી તો માંડ ખોલાવ્યા છે છતાં ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અમદાવાદનાં ૮૨ વર્ષનાં સવિતાબહેન પટેલ હિંમતભેર વોટ આપવા આવ્યાં હતાં અને વોટિંગ કરીને જે નાગરિકો મતદાન કરવા જતા નથી તેમના માટે સવિતાબા ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બન્યાં છે.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતાં સવિતાબહેન પટેલે આંતરડાનું ઑપરેશન કરાવ્યું હતું અને એમાં આંતરડું કાપવું પડ્યું હતું, પરંતુ ૮૨ વર્ષનાં આ બા મતદાન કરવા મતદાન મથક પર જાતે આવ્યાં હતાં અને મતદાન કરીને સંતોષ મેળવ્યો હતો.
મતદાન કરીને મતદાન મથકની બહાર આવી સવિતાબાએ ‘મિડ-ડે’ સાથે ઉત્સાહભેર વાત કરતાં કહ્યું હતું, ‘મત તો આપવો જ પડેને. દર વખતે હું મતદાન કરું છું. જો હું મત ન આપું તો બાપડાનો મત જતો રહે, જેને પણ મત આપીએ એનો મત જતો રહેને, એટલે મત આપવા આવી છું. દોઢ મહિના પહેલાં મારા આંતરડાનું ઑપરેશન કરાવ્યું હતું અને આંતરડું કાપવું પડ્યું હતું. ૩૫ ટાંકા આવ્યા છે. હમણાં જ ટાંકા ખોલાવ્યા છે, અઠવાડિયું પણ થયું નથી. મારે મતદાન કરવું હતું એટલે હું અહીં મતદાન કરવા આવી છું. બધાએ પણ મતદાન કરવું જોઈએ.’

gujarat shailesh nayak ahmedabad