11 February, 2020 10:27 AM IST | Ahmedabad
અકસ્માત
અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રેલર અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત થતાં બે જણના ઘટના સ્થળે મોત થયાં હતાં. કચોલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર ત્રણમાંથી બેનાં મોત થયાં છે જ્યારે એકને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બળદિયાથી ત્રણ લોકો તેમના મહેમાનોને રિસીવ કરવા માટે અમદાવાદ ઍરપોર્ટ જઈ રહ્યા હતા. આ દરમ્યાન કચોલિયા પાસે ગાડીનું ટાયર ફાટ્યું હતું અને ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. દુર્ઘટનામાં નીલેશ પટેલ અને નીતિન વેકરિયાને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. તેમની સાથે આવેલા રશ્મિન વોરાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને લોહીલુહાણ હાલતમાં પહેલાં વિરમગામ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના લીધે લાંબા સમય સુધી હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. ગાડીનાં પતરાં ચીરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.