15 June, 2021 02:38 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ચોમાસું લગભગ બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. પાંચ દિવસ વરસાદની આગાહી છે. આ સિવાય હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર, સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૧૬થી ૧૮ જુન દરમિયાન દરિયાકાંઠે સામાન્ય વરસાદ થઈ શકે છે. એટલે આગામી પાંચ દિવસ માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં. દરિયામાં ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે જેના કારણે તોફાન આવવાની સંભાવના છે. એટલે માછીમારોએ દરિયો ખેડવો નહીં.
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં પણ વરસાદ પડ્યો છે. ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧૪ અને ૧૫ જુન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે.