03 December, 2019 08:37 AM IST | Vadodara
પ્રતિકાત્મક તસવીર
વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ મામલે મહિલા આયોગની ટીમે પીડિતા સાથે મુલાકાત કરી છે. મહિલા આયોગની ટીમ દ્વારા પીડિતાને ન્યાય અપાવવા આશ્વાસન આપવામાં આવ્યું છે. જોકે મહિલા આયોગનાં અધ્યક્ષ લીલા અંકોલિયાએ દુષ્કર્મની ઘટનાઓના પ્રશ્નો ટાળ્યા છે. મહિલા આયોગ અધ્યક્ષે કહ્યું કે આ પ્રશ્ન પોલીસ વિભાગનો છે.
મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ જણાવ્યું છે કે મહિલા સુરક્ષામાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. મહિલાઓની સુરક્ષા મુદ્દે આયોગ ચિંતિત છે જેમાં મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે મોટા ભાગે પરિવારજનો જ મહિલાઓનું શોષણ કરે છે. આવા બનાવોને રોકવા માટે સમાજે જ આગળ આવવું પડશે. તેમણે કહ્યું કે પુરુષોની વિચલિત માનસિકતાનો મહિલાઓ ભાગ બને છે.
રાજ્યમાં દીકરીઓની સુરક્ષાને લઈને મહિલા આયોગ દ્વારા કવચ કાર્યક્રમનું લૉન્ચિંગ કરાયું છે. દીકરીઓને સજાગ કરવા માટે મહિલા આયોગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે હવે આ મામલે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ નિવેદન આપ્યું છે કે રાજ્યભરમાં કવચ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે.
મહિલા આયોગની ટીમ દ્વારા સ્કૂલમાં જઈને કાર્યક્રમ કરાશે. ધોરણ ૯થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને તાલીમ આપવામાં આવશે. આ દરમિયાન દીકરીઓને ગુડ અને બૅડ ટચ વિશે તાલીમ આપવામાં આવશે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
ત્યાર બાદ તેમણે વડોદરામાં થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે પ્રતિક્રિયા આપી છે કે વડોદરાના પોલીસ કમિશનર પાસેથી મહિલા આયોગે રિપોર્ટ મગાવ્યો છે. પીડિતા સાથે આયોગના સભ્યોએ મુલાકાત કરીને આશ્વાસન આપ્યું છે.