વિદ્યાર્થીઓ માટે સરકાર સંવેદનશીલ છે : વિજય રૂપાણી

05 December, 2019 02:00 PM IST  |  Gandhinagar

વિદ્યાર્થીઓ માટે સરકાર સંવેદનશીલ છે : વિજય રૂપાણી

વિદ્યાર્થીઓનું ગુજરાત સરકાર સામે વિરોધ

ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકથી ગુજરાત સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોએ ઉંઘ હરામ કરી નાંખી છે. 4 ડિસેમ્બરથી શરૂ થયેલું આંદોલન 24 કલાક બાદ પણ પૂરું થયું નથી. ત્યારે આજે ગુરૂવારે સવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોના હાલ જાણવા માટે મુલાકાત લીધી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, આંદોલન કરવું એ નબળા લોકોનું કામ નથી. હું તમારી સાથે ન્યાયની લડતમાં છું. તમારા સંગઠનમાં શક્તિ હશે તો કોઈની પણ તાકાત નથી કે, તમને ઝુકાવી શકે.

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગઇકાલથી પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર ઝુકી છે, આંદોલનકારીઓ સાથે મંત્રણાઓ શરૂ કરવામાં આવી છે. આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજ સિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં કલેક્ટરે પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી પરંતુ પરીક્ષાર્થીઓએ SITની રચનાને લોલીપોપ ગણાવી અને પરીક્ષા રદ કરવાની માગણી પર અડગ રહેતા બેઠક સમેટાઈ ગઇ હતી. જોકે કલેક્ટરે આ મામલે સરકાર સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પુરતો ઉમેદવારોના પ્રતિનીધિઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ આંદોલનકારીઓ હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે.

વહેલી સવારે પણ વિદ્યાર્થીઓના ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૂ કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટવા તૈયાર નથી. તેમજ ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી હતી. માત્ર એટલું જ નહીં, ધાબળા પણ મંગાવ્યા હતા. જો કે આ ધાબળા પણ ખુટી પડ્યા હતા. તેમાના કેટલાક આંદોલનકારીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

હું તમારી સાથે છુંલડતમાં ભાગીદાર છું: શંકરસિંહ વાઘેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું. આંદોલનકારીઓએ રજૂઆત કરી હતી કે અમે પુરાવા રજૂ કર્યા છતાં પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. જેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકારે આંદોલનકારીઓની વાતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.

gujarat