શિક્ષકોની સામે ઝૂકી સરકાર, CMએ કરી ખાસ સમિતિની રચના

22 February, 2019 02:51 PM IST  |  ગાંધીનગર | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

શિક્ષકોની સામે ઝૂકી સરકાર, CMએ કરી ખાસ સમિતિની રચના

ત્રણ મંત્રીઓની સમિતિ સાંભળશે શિક્ષકોની વાત

શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.

પોતાની માંગણીઓને પગલે શિક્ષકોએ આજે વિધાનસભાને ઘેરાવ કરવાનો નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચ્યા હતા. શિક્ષકો વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા હતા. તો બીજી તરફ, વિરોધ કરી રહેલા 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. પણ તેમના આ વિરોધનો સૂર સરકારના કાનમાં પહોંચ્યો હતો. તેમના વિરોધ સામે ઝૂકેલી સરકારે કહ્યું કે, પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, પોલીસ કાર્યવાહીથી રોષ

મુખ્યમંત્રીએ કર્મચારી મંડળોઓને પણ અનુરોધ કર્યો છે કે, સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે, ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે. આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું હિત જળવાય તે હેતુથી આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી છે.

gujarat Vijay Rupani gandhinagar