29 August, 2024 05:10 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના મોટાભાગના રાજ્યોમાં વરસાદ (Gujarat Rains 2024) આફત બની રહ્યો છે. ગુજરાતમાં પૂર (Gujarat Floods) અને વરસાદની સ્થિતિ એવી છે કે હવે પશુઓ પણ રહેણાંક વિસ્તારમાં ઘુસી રહ્યા છે. વડોદરા (Vadodara)માં ભારે વરસાદને કારણે અકોટા સ્ટેડિયમ (Akota Stadium) વિસ્તાર પાણીથી એટલો ભરાઈ ગયો હતો કે એક ઘરની છત પર મગર જોવા મળ્યો હતો. તે સિવાય ફતેગંજમાં એક ઘરમાં મગર ઘૂસી ગયો હતો. આ ઉપરાંત વડોદરામાં વિવિધ સ્થળોએ રહેણાંક વિસ્તારોમાં મગર (Crocodile spotted in Vadodara) ઘુસ્યા હોવાના અહેવાલો છે.
વડોદરાની વિશ્વામિત્રી નદી (Vishwamitri River)માં પૂર આવ્યું છે, જેના કારણે મગરો પાણીમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. ઘરમાં મગર ઘુસી જતાં લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. જોકે, બાદમાં વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને બચાવી લીધો હતો, ત્યારે જ લોકોને રાહત મળી હતી.
તાજેતરમાં સોશ્યલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વડોદરના ફતેગંજ વિસ્તારમાં એક મગર ઘુસી ગયો હતો જે જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. બાદમાં વન વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ મગરને બચાવ્યો હતો.
અકોટા સ્ટેડિયમ વિસ્તારમાં એક ઘરની છત પર મગર જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad)માં પણ આ પ્રકારે મગર જોવા મળ્યા હતા. અમદાવાદમાં એક રહેણાંક વિસ્તારમાં મગર ફરતો જોવા મળ્યો. બાદમાં લોકોએ તેને પકડીને દોરડા વડે બાંધી વન વિભાગની ટીમને હવાલે કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્ય આ સમયે ભારે મુશ્કેલીમાં છે. સામાન્ય કરતાં વધુ વરસાદને કારણે ગુજરાતના ૧૮ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેમાં કચ્છ (Kutch), દ્વારકા (Dwarka), જામનગર (Jamnagar), મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar), જૂનાગઢ (Junagadh), રાજકોટ (Rajkot), બોટાદ (Botad), ગીર સોમનાથ (Gir Somnath), અમરેલી (Amreli) અને ભાવનગર (Bhavnagar) સૌથી વધુ પ્રભાવિત થયા છે. તે જ સમયે, આગામી પાંચ દિવસમાં પણ પરિસ્થિતિમાં સુધારો થવાનો નથી. હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
આજે રોજ હવામાન વિભાગે ગુજરાતના ૩૩માંથી ૧૧ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ (Red Alert) અને બાકીના ૨૨ જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે.
તાજેતરમાં પડેલા વરસાદમાં, રાજ્યમાં થોડા દિવસોમાં સરેરાશ વાર્ષિક વરસાદના ૧૦૫ ટકા વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ૧૮,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ ૧,૨૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે સુરક્ષા દળો દ્વારા હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.