23 February, 2021 11:35 AM IST | Ahmedabad | Agency
અહમદ પટેલ
પીઢ નેતા અહમદ પટેલની સીટ સહિત રાજ્યસભાની ખાલી પડેલી બે સીટ પર કૉન્ગ્રેસે કોઈ ઉમેદવાર ઊભો ન રાખતાં બીજેપીના ઉમેદવારો દિનેશચંદ્ર અનાવડિયા અને રામભાઈ મોકરિયા ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાઈને રાજ્યસભામાં ગયા હતા.
કૉન્ગ્રેસના સંસદસભ્ય અહમદ પટેલ તેમ જ બીજેપીના સંસદસભ્ય અભય ભારદ્વાજના નિધનથી ઉક્ત બે સીટ ખાલી પડી હતી. કોવિડને કારણે મૃત્યુ પામેલા પીઢ કૉન્ગ્રેસી નેતા અહમદ પટેલ ૧૯૯૩થી ગયા વર્ષે ૨૫ નવેમ્બરે તેમના મૃત્યુ સુધી રાજ્યસભાની સીટ પર સંસદસભ્ય હતા. બીજી ખાલી પડેલી સીટ પર બીજેપીના અભય ભારદ્વાજ હતા.
ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના અંતિમ દિવસ સુધી કોઈએ ઉમેદવારીપત્ર ન ભરતાં રિટર્નિંગ ઑફિસર સી. બી પંડ્યાએ દિનેશચંદ્ર અનાવડિયા અને રામભાઈ મોકરિયાને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. બીજેપીના બે ડમી ઉમેદવાર રજનીકાંત પટેલ અને કિરીટ સોલંકીએ શનિવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.