01 February, 2020 11:10 AM IST | Ahmedabad
વિજય રૂપાણી
ગુજરાત સરકાર દ્વારા ‘રેલવે ક્રૉસિંગ મુક્ત ગુજરાત’ની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં આવેલી ૨૦ નગરપાલિકા વિસ્તારોમાં આવેલાં રેલવે ક્રૉસિંગ પર ૨૬ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનશે, જેમાં વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં બે-બે ઓવરબ્રિજ તથા ગાંધીધામમાં બે રેલવે અન્ડરબ્રિજ બનાવવામાં આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફાટકમુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં આગળ વધતાં ૨૦ નગરપાલિકા વિસ્તારોમાં આવેલાં રેલવે ક્રૉસિંગ પર ૧૬ રેલવે ઓવરબ્રિજ અને ૧૦ રેલવે અન્ડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાતમાં આવેલા ઓખા, પાલિતાણા, પાટણ, તલોદ, વીસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલી નગરપાલિકામાં ૧–૧ રેલવે ઓવરબ્રિજ બનશે; જ્યારે વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં બે–બે ઓવરબ્રિજ બનશે. સિક્કા, નડિયાદ, બોપલ-ઘૂમા, ઊના, કેશોદ, ડીસા, પેટલાદ, વ્યારા નગરપાલીલિકામાં ૧–૧ અને ગાંધીધામ નગરપાલિકામાં બે રેલવે અન્ડરબ્રિજ બનાવવામાં આવશે. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રેલવે ઓવરબ્રિજ અને રેલવે અન્ડરબ્રિજનાં કામ માટે મંજૂરી અપાઇ છે.