23 February, 2020 07:30 AM IST | Ahmedabad
અમદાવાદમાં સાબરમતી આશ્રમના દરવાજે લાગેલાં વિરોધી બૅનરો.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને કોઈ બીજો ફેરફાર ન થાય તો સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં ગાંધીબાપુ અને ભારતનું નામ ખરાબ ન થાય તે માટે ગાંધી વિચારોને વરેલા આશ્રમવાસીઓએ સાબરમતી આશ્રમના દરવાજે લગાવેલાં વિરોધી બૅનરો હટાવી લીધાં છે.
મહાત્મા ગાંધીબાપુએ વસાવેલા આશ્રમવાસીઓને આશ્રમ કૅમ્પસમાંથી ખસેડવાના મુદ્દે આશ્રમવાસીઓ છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવી રહ્યા છે અને સાબરમતી આશ્રમના દરવાજે ટ્રસ્ટીઓનો વિરોધ કરતાં બૅનરો લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ટ્રમ્પની મુલાકાતના પગલે વિદેશી મહાનુભાવની સામે ગાંધીબાપુ અને દેશની પ્રતિષ્ઠા ખરડાય નહીં તે માટે લડત ચલાવી રહેલા આશ્રમવાસીઓએ હાલપૂરતાં બૅનરો હટાવી લીધાં છે.
આશ્રમવાસી ધીમંત બઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અંતેવાસીઓ છીએ ત્યારે બાપુના વિચારોને લઈને રાષ્ટ્રપિતા ગાંધીજી અને ભારતનું નામ ખરાબ ન થાય તે માટે બૅનરો હટાવી લીધાં છે, ડોનલ્ડ ટ્રમ્પ જ્યારે આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આશ્રમવાસીઓને વિરોધ કરવો યોગ્ય નથી લાગતું એટલે ટ્રસ્ટીઓનો વિરોધ કરતાં બૅનરો ઉતારી લીધાં છે, પણ આશ્રમ બચાવવાની અમારી લડત ચાલુ રહેશે.’