ભૂતપૂર્વ પ્રધાન જયંતી કવાડિયા ઉપર ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાનો આરોપ

04 December, 2019 09:28 AM IST  |  Ahmedabad

ભૂતપૂર્વ પ્રધાન જયંતી કવાડિયા ઉપર ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાનો આરોપ

જયંતિ કવાડિયા

રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન જયંતી કવાડિયાએ હળવદ તાલુકાના માનગઢ ગામની ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.
ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામના મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વિઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંધનામા દ્વારા વારસદારો ઊભા કરી તેમના પરિવાર તેમ જ મળતિયાઓના નામે કરી લીધી છે. ખેડૂતોએ જમીનના સર્વે નંબર પણ રજૂ કર્યા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા બાદ માનગઢના ખાતેદાર આદમ કાળા ઘાંચી અને અન્ય મુસ્લિમ ખેડૂત ખાતેદાર માનગઢ છોડી પાકિસ્તાન સ્થાયી થયા હતા. ઘાંચી આદમ કાળા અને અન્ય મુસ્લિમોની આશરે ૩૭૫ વીઘા જમીન માનગઢના રેવન્યૂ રેકર્ડમાં હતી. તેમના પાકિસ્તાન ગયા પછી આ જમીનના કોઈ વારસદાર નહોતા. આ જમીનને ગામના પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે ખેડૂતો ખેડતા હતા અને વિઘોટી પણ ભરપાઈ કરતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ ફાઇલોનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે જમીન ખેડી ખાવ અને બાદમાં પોતાના પરિવાર અને મળતિયાઓના નામે સોગંધનામા કરી ખોટા વારસદારો ઊભા કરી જમીન પચાવી પાડી હતી.

gujarat ahmedabad