લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદસટ્ટાબજારના મતે BJPનો ઘોડો વિનમાં

11 May, 2019 07:28 AM IST  |  મુંબઈ | વિવેક અગરવાલ

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદસટ્ટાબજારના મતે BJPનો ઘોડો વિનમાં

લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કા પૂરો થયા બાદ સટ્ટાબજારમાં બીજેપીનો ભાવ સુધર્યો છે. ચોથા ચરણ સુધી બીજેપીની સ્થિતિ ડામાડોળ ગણાવાઈ રહી હતી, પરંતુ હવે એમાં થોડી બેઠકોનો સટ્ટાબજારે ઉમેરો કર્યો છે. સૂત્રોનું માનીએ તો સટ્ટાબજારનું પાંચમું ચરણ પૂરું થયા બાદના સટ્ટાબજારના રૂખ પર નજર નાખીએ તો ભાજપ ૨૪૮થી ૨૫૦ બેઠકો મેળવે એવી ધારણા છે. મતદાનના ચોથા ફેઝ સુધી બીજેપીના ભાગે માત્ર ૨૩૬થી ૨૩૮ સીટ આવશે એવો અંદાજ લગાવાઈ રહ્યો ભાજપનો ઘોડો વિનમાં હતો. જ્યારે કૉન્ગ્રેસને પહેલાં જે ૭૨થી ૭૪ બેઠકો મળવાની ધારણા સેવાઈ હતી એના સ્થાને હવે તેને ૭૬થી ૭૮ બેઠકો મળશે એવી સંભાવના દર્શાવાઈ છે. સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લગાડાઈ ચૂક્યો છે. ચૂંટણીના ત્રણ તબક્કા હજી બાકી છે અને ૧૨ મેએ આઇપીએલ પૂરી થયા બાદ વધુ રકમ સટ્ટાબજારમાં ઠલવાશે એવો અંદાજ છે. ચોથા તબક્કા પછી સટોડિયાઓએ માત્ર ભાજપ માટે જ ભાવ ખોલ્યા હતા એટલે એવી છાપ ઊભી થઈ હતી કે સટ્ટાબજાર ભાજપ સામે નતમસ્તક થઈ ગયું છે. જ્યારે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ બજારનાં સમીકરણોમાં ગરબડ થતાં પંટરોનો વિશ્વાસ ડગ્યો છે ત્યારે હવે લોકસભાની આ ચૂંટણીમાં સટ્ટાબજારની શાખ દાવ પર લાગી છે.

સટ્ટાબજારનાં સૂત્રો અનુસાર ભાજપ એકલે હાથે જ ૨૭૨ બેઠકો મેળવે અને સરકાર રચે તો ૩.૫૦ રૂપિયાનો ભાવ રખાયો છે, જ્યારે એનડીએ સરકાર બનાવે તો ૧૨ પૈસાનો ભાવ બોલાઈ રહ્યો છે. સામા પક્ષે કૉન્ગ્રેસ ૨૭૨ સીટ મેળવે તો ૧૦૦ રૂપિયાનો ભાવ, જ્યારે યુપીએ સરકાર રચે તો ૫૦ રૂપિયા ભાવ રખાયો છે. તો મહાગઠબંધન સરકાર બનાવે તો ૮૦ રૂપિયાનો ભાવ રખાયો છે.

વડા પ્રધાન કોણ બનશે એ બાબતે પણ નરેન્દ્ર મોદી પર ૧૫ પૈસા, રાહુલ ગાંધી પર ૬૦ રૂપિયા, માયાવતી પર ૧૧૦ રૂપિયા, મમતા બૅનરજી પર ૧૫૦ રૂપિયાનો ભાવ સટ્ટાબજારમાં ચાલી રહ્યો છે. જ્યારે રાજ્યવાર કોને કેટલી બેઠક મળશે એ બાબતે ભાજપ માટે ફરીથી ભાવો ખોલાયા છે. એ અનુસાર ૨૩૫ બેઠક પર ૩૨ પૈસા, ૨૪૦ સીટ પર ૫૨ પૈસા, ૨૪૫ બેઠક પર ૮૨ પૈસા અને ૨૫૦ બેઠકો પર ૧.૦૫નો ભાવ બોલાઈ રહ્યો છે. સટ્ટાબજારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ માટે આના કરતાં વધુ ભાવો હવે ખોલવામાં નહીં આવે. એની પાછળનું કારણ ઈïવીએમ મશીનોની સતત્ા આવી રેહેલી ફરિયાદ ગણાવાઈ રહ્યું છે. જ્યારે કૉન્ગ્રેસ માટે સટોડિયાઓએ ૬૦ બેઠક પર ૨૮ પૈસા, ૬૫ સીટ પર ૬૫ પૈસા, ૭૦ માટે ૮૫ પૈસા અને ૭૫ બેઠકો માટે એક રૂપિયો અને ૮૦ બેઠકો માટે ૧.૩૦ રૂપિયાનો ભાવ રાખ્યો છે એટલું જ નહીં; એનાથી વધુ બેઠકો માટે પણ ભાવ બોલાઈ રહ્યો છે.

સટ્ટાબજારે બેઠકોનું રાજ્યવાર પર આકલન કર્યું છે. સટ્ટાબજાર અનુસાર ગુજરાતની ૨૬માંથી ભાજપને લગભગ બાવીસથી ૨૩ બેઠકો મળશે, કૉન્ગ્રેસને ૩ બેઠકો મળે એમ છે; જ્યારે મધ્ય પ્રદેશમાં બાવીસ ભાજપ લઈ જશે, જ્યારે અહીં કૉન્ગ્રેસની બેઠકો વધવાની ધારણા લગાવાઈ છે એટલું જ નહીં, ગોવામાં ભાજપ બન્ને બેઠકો મેળવશે અને રાજસ્થાનમાં ૨૫માંથી ૨૧ બેઠકો ભાજપ અને ૪ બેઠકો કૉન્ગ્રેસને ફાળે જાય એવો અંદાજ લગાવાયો છે.

યુપીમાં કુલ ૮૦માંથી ૪૮ ભાજપ, મહાગઠબંધન ૨૭ અને કૉન્ગ્રેસને વધુમાં વધુ ૪ બેઠકો મળશે તેમ જ કેરળમાં ભાજપને વધુમાં વધુ ૩ અને ઓડિશામાં ભાજપને લગભગ ૧૫ બેઠકો મળશે એવો અંદાજ લગાવાયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપને એક કે બે બેઠક પર નુકસાન થવાની શક્યતા દર્શાવાઈ છે.

બુકીઓ અનુસાર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભાજપએ લગાવેલા એડીચોટીના જોરને ધ્યાનમાં લેતાં એને ૧૫ કે તેથી વધુ બેઠકો મળશે.

ભાજપને રમઝાનનો ફાયદો થશે?

સટ્ટાબજારનાં સૂત્રોએ એવો અંદાજ લગાવ્યો છે કે રમઝાન માસમાં પડી રહેલી તીવ્ર ગરમીને કારણે મુસ્લિમોનું મતદાન ઓછું થવાની શક્યતાને પગલે કૉન્ગ્રેસના મતો તૂટશે. માત્ર કૉન્ગ્રેસ જ નહીં, સમાજવાદી પક્ષ સહિતનાં દળોની પણ વોટબૅન્ક મુસ્લિમો હોવાને કારણે તેમને પણ નુકસાન થવાની શક્યતા છે; જેનો સીધો ફાયદો સ્વાભાવિક જ ભાજપને થશે.

આ પણ વાંચોઃ ઈવીએમ-વીવીપેટની સ્લીપ મૅચ કરવાને લીધે ચૂંટણી પરિણામ 4-5 કલાક મોડાં પડશે

બુરખા પર પ્રતિબંધની શિવસેનાની માગ નુકસાનનું કારણ બનશે ?

તાજેતરમાં જ શિવસેનાએ મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધની કરેલી માગણીને કારણે શિવસેના અને ભાજપ બન્નેને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

narendra modi bharatiya janata party Election 2019