22 April, 2020 12:18 PM IST | Gandhinagar/Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent
રાજ્યમાં જ્યાં પણ કોરોનાનાં સેન્ટર છે ત્યાં દર્દીઓ સંમત થશે તો આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા પણ આપવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં નવા 206 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ નવા ઉમેરાને પગલે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે. અત્યાર સુધી કુલ 95 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 2020 છે અને 13 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.આ સ્થિતિમાં ગુજરાત કોરોનાનાં કેસિઝ ધરાવવાને મામલે બીજા નંબરે પહોંચી ગયું છે, મહારાષ્ટ્રની ગીચ વસ્તીને પગલે તે હજી પણ પહેલા નંબરે છે.
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, ગઇકાલ સાંજ પછી શહેર પ્રમાણે નવા કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાને કારણે રાજ્યમાં મૃતકોની વાત કરીએ તો વલસાડમાં 21 વર્ષનાં પુરુષનું મોત થયું છે. જેમને મગજની સમસ્યા પણ હતી. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા ચાર પુરુષનાં મોત નીપજ્યાં છે. જેમાંથી એક પુરુષને લિવરની બીમારી હતી. આ ચાર લોકોની ઉંમર 52થી 60 વર્ષની અંદર હતી. આ સાથે આરોગ્ય અગ્ર આરોગ્ય સચિવે જણાવ્યું કે, દરેક ગુજરાતીએ આરોગ્ય સેતુ એપ્પ ડાઉનલોડ કરવી જોઇએ અને તેમાંથી માહિતી મેળવતા રહેવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં જ્યાં પણ કોરોનાનાં સેન્ટર છે ત્યાં દર્દીઓ સંમત થશે તો આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા પણ આપવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાલિકા તંત્રએ મોટો નિર્ણય લીધો હતો. પાલિકા તંત્રએ કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન જાહેર કરી ત્યાં કફ્યૂ લાદવામાં આવ્યો. શહેરમાં કોટ વિસ્તાર જેમા જૂના અમદાવાદના દાણીલીમડા , જમાલપુર ખાડીયા, કાલુપુર વિધાનસભા મતવિસ્તારના એરિયા અને શહેરના ગુલબાઈ ટેકરાને સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામાં આવ્યો.
અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોના સામે લડવા માટે જાન્યુઆરીથી તૈયારી કરી હતી. માસ્કની અને પીપીઈ સ્યૂટની ખરીદી વહેલી તકે ખરીદી હતી અને પાલિકાના આરોગ્ય તંત્રને તૈયાર કર્યુ હતું. ટેકનોલોજીના માધ્યમથી અન્ય નાગરિકોને ખબર પડે એટેલે કોરોનાના કેસો અને બફર ઝોનનો મેપ તૈયાર કરાવ્યો હતો. બફર ઝોનમાં તમામ ક્વૉરન્ટીન કરાયેલા લોકોને પાલિકાએ ખાવા પીવાની ચીજો પહોંચાડી હતી. અમદાવાદ શહેરમાં કેન્દ્રસરકાર પાસેથી મળેલી રેપિડ ટેસ્ટ કિટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પર મિલિનિય 427 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે દેશના અન્ય કોઈ પણ રાજ્યો કરતા સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યો છે.