23 March, 2020 12:23 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
નીતિન પટેલે કરી આજે અગત્યની જાહેરાત
ગુજરાતમાં કોરોના પૉઝિટીવનાં કેસિઝની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. રવિવારે સાંજ સુધીમાં પૉઝિટીવ કેસનો આંકડો 18 સુધી પહોંચ્યો હતો. વળી ગુજરાતમાં કોરોનાને કારણે પહેલું મૃત્યુ થવાના સમાચાર પણ સ્રોત દ્વારા પ્રાપ્ત થયા હતા. 69 વર્ષનાં વૃદ્ધ મૂળ સુરતનાં હતા અને અઠવા લાઇન્સ વિસ્તારના રહેવાસી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમણે કોઇ વિદેશ પ્રવાસ તો નહતો કર્યો પણ દિલ્હી અને જયપુરથી યાત્ર કરીને સુરત પહોંચ્યા હતા. 17મી માર્ચે તેમની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમની પરિસ્થિતિ પેચદી હતી કારણકે તેમને અસ્થમાની તકલીફ પણ હતી અને ડાયાબિટીસની સમસ્યા પણ હતી.
વળી હેલ્થ વિભાગે કરેલા ટ્વિટ અનુસાર વડોદરામાં પણ એક મહિલાનું મૃત્યું થયું છે જેમને હાઇપર ટેન્શન અને ડાયાબિટીસની સમસ્યા હતી જો કે તેમને કોવિડ-19નાં ટેસ્ટનો રિપોર્ટ હજી સુધી આવ્યો ન હોવાથી મૃત્યુંનું કારણ વાઇરસ છે તેમ ન કહી શકાય.
ગુજરાતમાં પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત થઇ છે જે છ જિલ્લાને લાગુ પડશે અને રાજ્યની તમામ બોર્ડર સિલ કરી દેવાઇ છે. કોરોનાનું સંક્રમણ પ્રસરતું અટકાવવા આ નિર્ણય લેવાયો છે અને આમ દેશમાં કુલ 75 જિલ્લાઓ લૉકડાઉન કરાયા તેમાં ગુજરાતનાં 6 જિલ્લા સામેલ છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 31 માર્ચ સુધી લોકડાઉન એટલે કે સંપૂર્ણ બંધ રખાશે. સાથે સરકારે એ પણ કહ્યું છે કે, આ શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, દૂધ, શાકભાજી, કરીયાણાની દુકાન તથા મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે. તમામ પ્રાઈવેટ ઓફિસો તથા અન્ય દુકાનો, ફેક્ટરીઓ 31 માર્ચ સુધી લોક ડાઉન રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતનાં લોકોને ઘરમાં રહેવા અપિલ કરી તથા જાહેરાત કરી હતી કે કુલ 273 જણનું ટેસ્ટિંગ થયું જેમાંથી 18 કેસિઝ પૉઝિટીવ આવ્યા છે. અમદાવાદમાં 650 જણાંને સરકારી ક્વોરેન્ટિનમાં રખાયા છે. રાજ્યમાં કુલ 6092 જણા ક્વોરેન્ટિનમાં છે. નીતિન પટેલે તો ત્યાં સુધી કહ્યું કે 18 પૉઝિટીવ કેસ વાળાઓનાં નામ જાહેર કરીશું જેથી લોકોને ખબર પડે કે તેઓ આ કેસિઝનાં દર્દીનાં સંપર્કમાં આવ્યા હતા કે નહીં અને આવ્યા હોય તો તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવે.