11 July, 2019 04:50 PM IST | ગાંધીનગર
રાજ્યમાં અવારનવાર જૈન સાધુ સાધ્વીઓના અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. વિહાર કરતા જૈન સાધુ સાધ્વીઓના અકસ્માતને કારણે મોત થવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે આ દુર્ઘટનાઓ રોકવા માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં 250 કિલોમીટરની પગદંડી બનાવવાની જાહેરાત કરી છે. 6 કરોડના ખર્ચે બનેલા તેરાપંથ ભવનના ઉદઘાટન દરમિયાન સીએમ વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.
સીએમ વિજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું કે આગામી સદી ભારતની સદી રહેશે. નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે. લોકોની આધ્યાત્મિક ચેતનાને ઉર્ધ્વગામી દિશા આપતા તપ, આરાધના, પૂદગલ, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન જેવા આયામોથી સમાજ સમસ્તમાં જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માની ભાવના પ્રજવલિત રહે છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે,'ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયા, સૌને અભયદાન જેવા કાર્યક્રમોથી ભારતનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાતમાં જીવ માત્રની રક્ષા માટે આપણે સંપૂર્ણ પ્રતિબધ્ધતા દાખવીને ગૌવંશ હત્યા સામે કડક કાયદો બનાવ્યો છે. જીવીત પશુઓની નિકાસ કરનારાઓ સામે પણ સખ્તાઇથી પેશ આવી રૂક જાવનો આદેશ આપ્યો છે.'
આ પણ વાંચોઃ ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે અનલિમિટેડ, સરકારે કર્યા આંકડા જાહેર
આ સાથે જ આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું,'રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી તહેત રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો વેગવાન બનાવવાના છે.'