03 March, 2024 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અને રાધિકા
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ (Anant-Radhika Pre-Wedding Day 3) ફંક્શનનો આજે ત્રીજો દિવસ છે. આજે આ પ્રસંગે બે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ થીમ ટસ્કર ટ્રેલ્સ હશે. આ થીમ હેઠળ, ફંક્શનમાં હાજર રહેલા મહેમાનો માટે બપોરે એક ભવ્ય લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં એટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ હશે કે એકથી એક બધી જ રીતે ચઢિયાતી હશે. ખરેખર, મહેમાનો માટે મેનુમાં અસંખ્ય વિકલ્પો છે. આ ક્ષણ કોઈ શાહી તહેવારથી ઓછી નથી.
ઇન્દોરની સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ
તમને જણાવી દઈએ કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોર શહેરને `સ્વાદની રાજધાની` કહ્યું છે, ત્યારથી અહીંના સ્વાદની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અંબાણી પરિવારે મહેમાનોના લંચના મેનુમાં ઈન્દોરની સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કર્યો છે. ફંક્શનમાં આવનાર મહેમાનોને આંતરરાષ્ટ્રીય ભોજન તેમ જ ઈન્દોરની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે.
રાત્રે શાનદાર પ્રદર્શન
સાંજે અન્ય એક કાર્યક્રમ (Anant-Radhika Pre-Wedding Day 3)નું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ સિગ્નેચર હશે. આ થીમ માટેનો ડ્રેસ કોડ હેરિટેજ ઈન્ડિયન તરીકે રાખવામાં આવ્યો છે. રાત્રે નૃત્ય અને ગીતોનું અદ્ભુત પ્રદર્શન થશે. આ માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાણી પરિવાર આ કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર મહેમાનોની યજમાનીમાં કોઈ કસર છોડશે નહીં.
ખાન ત્રિપુટીએ બીજા દિવસે ધૂમ મચાવી
ઉલ્લેખનીય છે કે, અંબાણીના શાહી સમારોહનો બીજો દિવસ ખૂબ જ ભવ્ય રહ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ શાનદાર સ્ટેજ પરફોર્મન્સ આપીને લોકોના દિલ જીતી લીધા હતા અને બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ નથી રહ્યા. પંજાબી સિંગર દિલજીત દોસાંઝના ગીતો પર સેલેબ્સ ડાન્સ કર્યો હતો. ખાન ત્રિપુટી પણ પાછળ રહી ન હતી. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને `RRR`ના ગીત `નાટુ નાટુ` પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર, કરિશ્મા કપૂર સહિત ઘણા સેલેબ્સે તેમના મૂવ્સ બતાવ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અંબાણી પરિવાર પહેલી વાર આવો ખીલ્યો અને ખૂલ્યો છે
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં મુકેશ અંબાણીએ ઇમોશનલ સ્પીચમાં પુત્ર અનંતને પિતા ધીરુભાઈ અંબાણી સાથે સરખાવીને કહ્યું હતું કે અનંતમાં મને મારા પપ્પા ધીરુભાઈ દેખાય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅને કહ્યું હતું કે ‘અનંત અને રાધિકા જીવનભરના સંગાથની સફર શરૂ કરી રહ્યાં છે ત્યારે તમારા આશીર્વાદથી તેમના જીવનમાં સદનસીબની ભરમાર રહેશે અને એની વિપુલતામાં ક્યારેય ઘટાડો નહીં થાય. આજે મારા પપ્પા પણ સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા હશે. મને ખાતરી છે કે તેઓ આજે બહુ જ ખુશ હશે, કારણ કે આજે અમે તેમના ફેવરિટ પૌત્ર અનંતના જીવનનો ખુશીનો દિવસ જામનગરમાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ. જામનગર મારી અને મારા પપ્પાની કર્મભૂમિ છે. આ એ જગ્યા છે જ્યાં અમને અમારું મિશન, પૅશન અને પર્પઝ મળ્યાં હતાં. ૩૦ વર્ષ પહેલાં આ વેરાન સ્થળ હતું, પણ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ધીરુભાઈનું સાકાર થયેલું સપનું છે. જામનગરમાં તમને નવા ભારતનાં દર્શન થશે જે વાઇબ્રન્ટ હોવા ઉપરાંત આશાવાદી અને સ્વાભિમાનથી છલોછલ છે.’