ગુજરાતમાં 4-5 જૂને ત્રાટકશે હિકા વાવાઝોડું, કચ્છ તરફ ફંટાય તેવી દહેશત

31 May, 2020 10:14 AM IST  |  Ahmedabad | Agencies

ગુજરાતમાં 4-5 જૂને ત્રાટકશે હિકા વાવાઝોડું, કચ્છ તરફ ફંટાય તેવી દહેશત

હિકા વાવાઝોડું

ગુજરાત પર હાલ વાવાઝોડાના સંકટ વચ્ચે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાનું હતું પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧૨૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે ૩૧ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૪ અને ૫ જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડું ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઈ જાય તેવી શક્યતાઓ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જામનગર, પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાના સંકટને લઈને મોરબીના નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે દરિયામાં કરંટ જોવા મળતાં ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અલંગ પોર્ટ ઑફિસર અરવિંદ મિશ્રાએ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લૉકડાઉનના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગની બોટો પરત આવી ગઈ છે અને માછીમારોને પણ માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

gujarat ahmedabad porbandar bhavnagar