13 June, 2026 08:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અમદાવાદમાં યોજાયેલી સ્મૃતિસભામાં સી. એસ. રંધાવા
એક વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલી પ્લેન-ક્રૅશની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને દેશે એકસાથે ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, પણ કંઈ થયું નહીં એમ કહીને ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના પ્રેસિડન્ટ સી. એસ. રંધાવાએ વસવસો વ્યક્ત કર્યો હતો.
વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની સ્મૃતિમાં ગઈ કાલે અમદાવાદમાં યોજાયેલી સ્મૃતિસભામાં સી. એસ. રંધાવાએ મીડિયાને કહ્યું હતું કે ‘સભામાં ૧૫૦થી વધુ ફૅમિલી ઉપસ્થિત રહી હતી જેમણે એક વર્ષ પહેલાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ પરિવારોમાં બહુ દર્દ છે. તેમણે તકલીફોનો સામનો કર્યો છે. વિમાન-દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છે પણ કોઈ રિપોર્ટ આવ્યો નથી કે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી કે રિપોર્ટ કેમ ડિલે થયો છે. કયા કારણે દુર્ઘટના થઈ એ જણાવવું જરૂરી છે.’
સી. એસ. રંધાવાએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી સ્વજનોને એક થવા આહ્વાન કરીને કહ્યું હતું કે ‘બધાએ એકજૂટ થઈને એક દિશામાં જવાનું છે જેથી સત્ય સામે આવે. સરકારે પણ એવું મેકૅનિઝમ બનાવવું જોઈએ જેથી મોટી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારજનોને મુશ્કેલી ન પડે.’