05 September, 2019 01:02 PM IST | મુંબઈ
બુધવારે ભારે વરસાદે મુંબઈને ઘમરોળી નાખ્યું. મુંબઈ સિવાય પણ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું હતું. તો મુંબઈમાં અનેક સ્થળે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી લોકલ ટ્રેન અટકાવી દેવાઈ હતી. તો ભારે વરસાદની અસર ગુજરાત-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર પર પણ પડી છે. મુંબઈના નારાસોપારા સ્ટેશન પર પાણી ભરાતા ગુજરાત જતી આવતી ટ્રેનોના સમયપત્રક ખોરવાયા હતા. વેસ્ટર્ન રેલવે ગુજરાતથી મુંબઈ જતી ત્રણ ટ્રેન કેન્સલ કરી દીધી છે.
પશ્ચિમ રેલવેએ જાહેર કરેલી માહિતી પ્રમાણે સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા-વાપી ટ્રેન રદ કરવામાં આવી છે. નાલાસોપારા સ્ટેશન પર રેલવે ટ્રક પરણ 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે ટ્રેન આગળ વધી શકે એમ નહોતી. પરિણામે પશ્ચિમ રેલવેએ આ ત્રણ રદ કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે હજીય મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. બુધવારે પડેલા વરસાદને કારણે ટ્રેનની સાથે સાથે હવાઈ વ્યવહારને પણ અસર પહોંચી છે. મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે મુંબઈથી અમદાવાદ તરફ આવતી મોટાભાગની ફ્લાઇટો સવારે એક કલાક જેટલી લેટ ચાલી હતી.
બીજી તરફ ભારે વરસાદની આગાહીને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે. સતત વરસાદના પગલે પાલિકાએ મીઠી નદીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે ખસેડી દેવાયા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ મુંબઈમાં ઍવરેજ 15 ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ મૉનસૂનની મજા માણતા દેખાયા આ બૉલીવુડ સેલેબ્સ, જુઓ તસવીરો
હવામાન વિભાગે મુંબઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્રમાણે 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તંત્રએ અધિકારીઓને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાના આદેશો આપ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પશ્ચિમ મહારાષ્ટ્રના ડેમોની સ્થિતિ પર નજર રાખવા ખાસ સૂચના આપી છે.