06 November, 2019 09:05 AM IST | Rajkot
મહા સાઇક્લોન
અરબી સમુદ્રમાં ડેવલપ થયેલું ‘મહા’ સાઇક્લોન હવે ગુજરાતની નજીક આવી ગયું છે. ‘મહા’ની ક્ષમતા અને તાકાતમાં ઘટાડો થયો હોવાથી એનાથી તારાજી ઘટી શકે એવી શક્યતા છે.
‘મહા’ની આડઅસરના ભાગરૂપે ભારે પવન અને વરસાદની શક્યતા બિલકુલ નકારી શકાતી નથી. આ સંભાવનાને જોઈને ગુજરાતમાં અત્યારે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે ગુજરાતમાં ચારથી દસ ઇંચ જેટલો વરસાદ પડે એવી શક્યતા છે.
‘મહા’ અત્યારે અરબી સમુદ્રમાં પોરબંદરથી ૬૦૦ કિલોમીટર દૂર અને દીવથી પ૧૦ કિલોમીટર દૂર દરિયામાં સ્થિત છે. એના ઘેરાવાની ક્ષમતા એક આઇલૅન્ડ જેટલી વિશાળ છે પણ એની તાકાતમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે એ ઘટાડા પછી પણ એની અરબી સમુદ્રના આ કાંઠા તરફના પ્રયાણની દિશા બદલાય એવી શક્યતા હવે બિલકુલ નહીંવત્ છે.
‘મહા’ના કારણે દીવને વધુ નુકસાન થવાની શક્યતા જોવાતી હોવાથી ગઈ કાલે સવારે બાર વાગ્યે દીવના ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરની સૂચનાથી ટૂરિસ્ટોને દીવ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અત્યારે ગુજરાતમાં વેકેશન હોવાથી દીવમાં આઠથી દસ હજાર જેટલા ટૂરિસ્ટો હતા જેણે ગઈ કાલ બપોરથી સાંજ સુધીમાં દીવ ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. દીવ ઉપરાંત ચોરવાડનાં અમુક લોકેશન પરથી પણ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું તો કચ્છ, પોરબંદર, ભાવનગરના પણ અમુક વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ જ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો : લો બોલો, રંગીલુ રાજકોટ ગુજરાતનું અતિ પ્રદુષિત શહેર બન્યું
આંકડાબાજી
૧ આઇલૅન્ડ જેવડો સાઇક્લોનનો છે ઘેરાવો
૬૦૦ કિલોમીટર પોરબંદરથી દૂર
પ૧૦ કિલોમીટર દીવથી દૂર
૧૬,૦૦૦ ટૂરિસ્ટ પાસે ખાલી કરાવવામાં આવી જગ્યા
૩૦૦ લો-લાઇન ગામડાંઓ પર નજર
૧૦૦૦ અધિકારીઓની રજા રદ