ગુજરાત પર તોળાતું મહા સંકટ:સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

04 November, 2019 10:17 AM IST  |  દીવ

ગુજરાત પર તોળાતું મહા સંકટ:સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

મહા સંકટ

‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાત વધશે એવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી ૫૫૦ કિલોમીટર દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રૉસ કરશે અને વાવાઝોડું ૬ નવેમ્બરના ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે, જેના પવનની ગતિ ૧૦૦થી ૧૨૦ની સ્પીડે હશે જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

‘મહા’ વાવાઝોડાની સૌથી વધુ અસર ૬ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે. જ્યારે ૭ તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે અગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ સતત ધીમી ધારે વરસી રહ્યો છે.

ગુજરાતના દરિયાકિનારે ‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની થયું છે. ૬ અને ૭ નવેમ્બરે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની તમામ ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે એનડીઆરએફની ટીમોને અલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ, નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ક્રાઇસિસ મૅનેજમેન્ટનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ટીમોને અલર્ટ કરી દેવામાં આવી છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે એ વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત દેશમાંથી ભેજ શોષીને ‘મહા’ મજબૂત બની રહ્યું છે અને આ કારણોસર જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.

દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે આવતી કાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે, જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ વડોદરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

ક્યાર તો ચાલ્યું ગયું, પરંતુ મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ દેખાઈ છે.

મહા વાવાઝોડાના પગલે નવસારી દરિયાકાંઠાનાં ૨૦ ગામને સતર્ક કરાયાં

અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે મહા વાવાઝોડાની દહેશત વ્યાપી છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાત સહિતના તમામ દરિયાકાંઠાને અસર કરશે, જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે. બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ધોલાઈ બંદરે અને મેંધર ભાટ ગામ સહિતના કાંઠા વિસ્તારોનાં વીસ ગામોને અલર્ટ કરી દેવાયાં છે. વહીવટી તંત્ર સાબદું બન્યું છે. દરિયાઈ ફિશિંગ હાલ બંધ કરી કોઈને દરિયામાં નહીં જવા તાકીદ કરાઈ છે. તમામ ગામોના લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મહા સાયક્લોન: મહાનુકસાન તો પાકું જ છે

મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર સાબદું બન્યું છે, જેની આગોતરી તૈયારીના ભાગરૂપે અધિકારીઓ બેઠકનો દોર શરૂ થયો છે જેમાં મામલતદાર, પીએસઆઇ, મત્સ્યોદ્યોગ અધિકારી જરૂરી સાવચેતી માટે અલર્ટ કરવામાં આવ્યા હતા.

gujarat surat vadodara