૩૩ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ

05 March, 2026 08:47 AM IST  |  Sarangpur | Gujarati Mid-day Correspondent

BAPSના વડા મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સાળંગપુરમાં યોજાયો દીક્ષા મહોત્સવ : કૅનેડાના ચાર યુવાનોએ પણ લીધી દીક્ષા

દીક્ષા મહોત્સવમાં ૩૩ પાર્ષદોને મહંતસ્વામી મહારાજે સંત દીક્ષા પ્રદાન કરી હતી.

ગુજરાતના સાળંગપુરમાં ગઈ કાલે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ભાગવતી દીક્ષા મહોત્સવ ઊજવાયો હતો. એમાં મહંતસ્વામી મહારાજના મુખેથી ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’નો ગુરુમંત્ર ગ્રહણ કરીને તેમના આશીર્વાદ સાથે ૩૩ યુવાનોએ ભાગવતી દીક્ષા મેળવી હતી.  

દીક્ષા સમારોહમાં સંતો સહિત દેશવિદેશના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એમાં ૩૩ પાર્ષદોને મહંતસ્વામી મહારાજે સંત દીક્ષા પ્રદાન કરી હતી. વહેલી સવારે વૈદિક મહાપૂજા સાથે દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો હતો. વરિષ્ઠ સંતોએ નવદી​િક્ષતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવીને કપાળ તેમ જ બન્ને હાથ પર ચંદન અર્ચા કરી હતી. એ પછી મહંતસ્વામી મહારાજે નવદી​િક્ષત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ એટલે કે હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છુંનો ગુરુમંત્ર આપીને આશીર્વાદ આપ્યા હતા.

જે યુવાનોને ભાગવતી દીક્ષા અપાઈ એમાં ૧૩ એન્જિનિયર, ૧૧ ગ્રૅજ્યુએટ, ૩ માસ્ટર્સ ડિગ્રીધારક, એક ડૉક્ટર, એક આર્કિટેક્ટ અને ૪ યુવાનોએ અન્ય ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ૩૩ યુવાનોને ભાગવતી દીક્ષા અપાઈ એમાં ૪ યુવાનો કૅનેડામાં ઊછરેલા નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) છે. આ તમામ યુવાનોએ ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને અપનાવી છે. 

આ દીક્ષા સાથે મહંતસ્વામી મહારાજના હસ્તે અત્યાર સુધીમાં કુલ ૩૫૨ યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે BAPSના સંતોની કુલ સંખ્યા ૧૨૩૪ પર પહોંચી છે. 

gujarat news gujarat sarangpur swaminarayan sampraday culture news canada