‘કામસૂત્ર’નાં આસનો મોટી ઉંમર પછી પણ ઉપયોગમાં લઈ શકાય?

15 February, 2023 05:16 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બીજાં આસનોનો ઉપયોગ થવો જ જોઈએ, જે આનંદ અને ખુશીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સક્ષમ છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

મારી ઉંમર ૬૩ વર્ષની છે અને હું રિટાયર્ડ એન્જિનિયર છું. નિવૃત્તિના આ પિરિયડમાં મેં વાચન વધાર્યું છે. થોડા સમય પહેલાં મેં વાત્સ્યાયને લખેલી ‘કામસૂત્ર’ મગાવી, જે વાચતાં મને લાગ્યું કે એમાંનાં ઘણાં આસનો એવા છે જેનો તો આપણે જીવનભર ઉપયોગ જ કર્યો નહીં. શું હું એ આસનનો ઉપયોગ આ ઉંમરે કરું તો કોઈ પ્રૉબ્લેમ થાય ખરો? મારો બીજો પ્રશ્ન એ છે કે વાત્સ્યાયને ‘કામસૂત્ર’ના એક વિભાગમાં સંભોગ સંબંધિત અમુક ઉપચારો દર્શાવ્યા છે, એ ઉપચારો તમારી દૃષ્ટિએ કારગત છે ખરા?  અંધેરી

તમારી વાત સાચી છે, આજે મોટા ભાગના લોકો એક જ પ્રકારના આસન સાથે આખી જિંદગી કાઢી નાખે છે. સ્ત્રી નીચે અને પુરુષ ઉપર એવી અવસ્થાનું આ આસન આપણે ત્યાં બહુ પૉપ્યુલર છે, કહો કે એ એક જ આસન હોય એવું સૌકોઈના મનમાં ઘૂસી ગયું છે, જેની પાછળ પુરુષોના સ્ત્રી પરના આધિપત્યનો ભાવ જવાબદાર છે. બીજાં આસનોનો ઉપયોગ થવો જ જોઈએ, જે આનંદ અને ખુશીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સક્ષમ છે. તમે પૂછો છો કે આ ઉંમરે એ આસનનો ઉપયોગ કરી શકાય કે નહીં. કરી શકાય, પણ બે વાતની કાળજી અને તૈયારી સાથે.

એક, તમારા વાઇફને એ આસન સામે વિરોધ ન હોય. જો એવું હોય તો તેને વિશ્વાસમાં લઈ, સમજાવીને એ આસનને વ્યવહારમાં લેવા જોઈએ. બીજી વાત, તમારી ઉંમર. વાત્સ્યાયને દર્શાવેલાં એ આસનમાં કેટલાંક આસન જિમ્નેસ્ટિક સ્તરનું અંગપ્રદર્શન પણ માગી લે છે. જે ઉંમર પર તમે છો એ ઉંમરે શરીર એવું લચકદાર ન હોય એવું બની શકે એટલે તમારે તમારા શરીરની લચક અને વજનને પણ ધ્યાનમાં લેવું હિતાવહ છે.

તમારો બીજો પ્રશ્ન છે કે વાત્સ્યાયને આપેલા ઉપચારો કારગત છે કે નહીં, પણ તમને કહેવાનું કે વાત્સ્યાયને પોતાના ‘કામસૂત્ર’માં કોઈ ઉપચારો લખ્યા નથી. ઉપચારોનું એ પ્રકરણ બીજા લોકોએ લખેલું છે માટે એના પર ધ્યાન ન આપવું. એક સમયે એ ઉપચારો ચકાસી જોયા છે, પણ એમાં કોઈ ફાયદો નથી દેખાતો એટલે સૂચન એટલું જ કે એ ઉપચારોને અમલમાં મૂકવા નહીં. એને બદલે ડૉક્ટરને મળીને નિરાકરણ લાવવું.

columnists sex and relationships life and style health tips