19 July, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાળનો વઘાર કર્યા બાદ ઊકળતી હોય ત્યારે એમાં લીંબુ નાખવું ન જોઈએ એવું કહેવાતું આવ્યું છે, પણ એની પાછળનું કારણ કદાચ કોઈને ખબર નહીં હોય. લીંબુ વિટામિન Cથી ભરપૂર હોય છે. જ્યારે દાળમાં તડકો દઈ દીધા બાદ લીંબુ નાખવામાં આવે છે ત્યારે એ દાળનો ટેસ્ટ એન્હૅન્સ કરવાની સાથે એની ન્યુટ્રિશન-વૅલ્યુ પણ વધારશે.
દાળ બની ગયા બાદ એમાં લીંબુ ઍડ કરવાથી એમાં રહેલું સાઇટ્રિક ઍસિડ પેટમાં ઍસિડના ઉત્પાદનને વધારીને પાચનપ્રક્રિયાને વેગ આપે છે અને પોષક તત્ત્વોને શોષવામાં સરળ બનાવે છે. જેની પાચનશક્તિ નબળી હોય તેને દાળ પચવામાં ભારે લાગે છે, પણ એમાં લીંબુ ઉમેરવાથી હજમ થવામાં સહાય કરે છે અને ઍસિડિટી અને ગૅસની સમસ્યાને દૂર કરે છે. દાળમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, પણ શરીર એને સારી રીતે ઍબ્સૉર્બ કરી શકતું નથી. વિટામિન C ઉમેરવામાં આવે તો આયર્ન ઍબ્સૉર્બ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
એક લીંબુમાંથી આશરે ૩૧ મિલીગ્રામ જેટલું વિટામિન C મળે છે જે દૈનિક સેવનના ૫૧ ટકા જેટલું છે. એ રોગપ્રતિકારક શક્તિને વધારીને ત્વચા અને કિડનીની હેલ્થને સારી રાખે છે. આથી રાંધતી વખતે લીંબુને નિચોવી લેવું હિતાવહ નથી. વિટામિન Cને વધુ ગરમી લાગશે તો એનાં પોષક તત્ત્વો નષ્ટ થઈ શકે છે.
કઈ દાળમાં લીંબુ નાખવું જોઈએ?
તુવેર, મગ અને ચણાની દાળ આયર્નથી ભરપૂર હોય છે તેથી એના વઘાર બાદ લીંબુ નાખવું જોઈએ. અડદ અને મસૂરની દાળમાં લીંબુ નાખવાથી સ્વાદ બગાડી શકે છે અને એમાં એવાં પોષક તત્ત્વો છે જેના પર વિટામિન Cની ખાસ અસર દેખાશે નહીં.