11 February, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે જે વ્યક્તિ વધુ ગળ્યું ખાતી હોય તેને કરમિયા થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે ગળ્યું ખાવાથી કરમિયા થતા નથી, પરંતુ જે વ્યક્તિને કરમિયા થયા હોય તે વ્યક્તિ વધુ ગળ્યું ખાતી હોય છે, કારણ કે કરમિયા પોતાનો ખોરાક વ્યક્તિના શરીરમાંથી મેળવતા હોય છે. કરમિયા થવાનું મૂળ કારણ ઇન્ફેક્શન જ છે, બીજું કાંઈ નહીં.
કીડા કોઈ દિવસ એની મેળે આંતરડામાં જન્મતા નથી, પરંતુ બહારના વાતાવરણમાંથી શરીરમાં પેસે છે. ખાસ કરીને મોઢામાંથી અન્નમાર્ગે એ શરીરમાં જાય છે. આંતરડામાં કીડા કઈ રીતે પ્રવેશે છે અને કઈ રીતે એની વૃદ્ધિ થાય છે એ સમજીએ તો કીડા કોઈ દિવસ ડાયરેક્ટ અંદર જાય એની શક્યતા હોતી નથી, પરંતુ જે મોઢામાંથી અન્નમાર્ગે આંતરડા સુધી પહોંચે છે એ કીડાનાં ઈંડાં હોય છે જેને ડેવલપ થતાં ૨૧ દિવસ એટલે કે ત્રણ અઠવાડિયાં લાગે છે અને આ ત્રણ અઠવાડિયાંમાં ઈંડાંમાંથી કીડા જન્મે છે અને એ પછીના બીજા ૨૧ દિવસમાં એની બીજી જનરેશન પણ આવી જાય છે. આમ, જ્યારે કીડાઓની સંખ્યા વધી જાય છે ત્યારે બાળકને પ્રૉબ્લેમ શરૂ થઈ જાય છે.
કરમિયા થાય ત્યારે ઘણાં બાળકો એવાં પણ હોય છે જેમને કોઈ લક્ષણ ક્યારેય દેખાતાં નથી, બસ તેમના મળમાં કરમિયા દેખાય એટલે ખબર પડે કે બાળકને કોઈ પ્રૉબ્લેમ છે. જોકે મોટા ભાગના કેસમાં કોઈ ને કોઈ લક્ષણ દેખાય જ છે. કરમિયા થાય ત્યારે અડધી રાતે બાળક ઊંઘમાંથી ઊઠી રડવા માંડે છે, કારણ કે તેને પૂંઠમાં ખંજવાળ આવતી હોય છે અથવા પેટમાં દુખતું હોય છે. અમુક બાળકો રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે છે. ઘણાંને ખૂબ ભૂખ લાગે તો ઘણાં બાળકોની ભૂખ મરી જાય છે. ઘણાં બાળકોને શુગર-ક્રેવિંગ થાય છે. સૌથી મહત્ત્વનું કોઈ લક્ષણ હોય તો એ છે બાળક પ્રૉપર જમતું હોય છતાં તેનું વજન ન વધે અને તેનો ગ્રોથ બરાબર ન થતો હોય.
આદર્શ રીતે દર ૬ મહિને કરમિયા થયા હોય કે ન થયા હોય, એની દવા લઈ લેવી જરૂરી છે, કારણ કે આ દવાની કોઈ આડઅસર નથી. ઊલટું, નાનાં બાળકોમાં જેને કરમિયાની તકલીફ રહેતી હોય તેના ઘરમાં બાળકને જ નહીં ઘરમાં રહેતા બધા લોકોએ કરમિયાની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, કારણ કે ઘરમાં બધા લોકો એક જ ટૉઇલેટનો ઉપયોગ કરતા હોય છે એથી ઇન્ફેક્શન લાગવું ખૂબ જ સરળ બની જાય છે.
- ડૉ. પંકજ પારેખ
(ડૉ. પંકજ પારેખ અનુભવી પીડિયાટ્રિશ્યન છે.)