29 May, 2026 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેડિકલ સાયન્સ આજે ઘણું ઍડ્વાન્સ થઈ ગયું છે જેને લીધે કૅન્સર એટલે કૅન્સલ એ પરિભાષા બદલાઈ ગઈ છે. જોકે કૅન્સર સામેનો જંગ થોડો લાંબો અને અઘરો તો છે જ. આ જંગમાં દરદીને યોગ્ય ડૉક્ટરની જરૂર તો છે જ, એની સાથે-સાથે તેના પરિવારજનોની કાળજીની પણ અત્યંત જરૂર પડે છે. આ કાળજી કેવી હોવી જોઈએ એ થોડું સમજવું જરૂરી છે. કૅન્સરનું નિદાન માત્ર દરદીને જ નહીં, તેની આસપાસના પરિવારના સભ્યો અને પ્રિયજનોને પણ અસર કરી જતું હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારજનોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. અમે ડૉક્ટર તરીકે દરદીની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ ત્યારે ઘરના લોકો દરદીને ભાવનાત્મક સ્થિરતા અને આરામ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડૉક્ટર તરીકે અમે દરદીને જ નહીં, તેના પરિવારજનોને પણ સમજાવીએ છીએ કે તમારી જવાબદારી છે અત્યારે એક સારા શ્રોતા બનવાની. સારવાર દરમ્યાન દરદીઓ ઘણી વાર ડર, અનિશ્ચિતતા અને માનસિક થાકનો અનુભવ કરે છે. આ પરિસ્થિતિમાં તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર, દખલગીરી કર્યા વગર અથવા બિનજરૂરી આશ્વાસન આપ્યા વગર તેમની વાત સાંભળે.
અતિશય દયા અથવા સહાનુભૂતિ અજાણતાંમાં દરદીને નબળો અથવા લાચાર કરી શકે છે. દરદી સાથે ગરિમા અને સકારાત્મકતાથી વર્તવું એ તેનો આત્મવિશ્વાસ અને ભાવનાત્મક શક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે. દરદીને એવું ન લાગવું જોઈએ કે તેની બીમારીને કારણે લોકો તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. એટલા માટે દરદી સાથે બને એટલું સામાન્ય વર્તન કરવાનું છે.
કૅન્સરના દરદીઓને પહેલેથી જ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જેઓ તેમની સારવારનું કાળજીપૂર્વક આયોજન કરે છે. ઘણાંબધાં બહારનાં મંતવ્યો, ઇન્ટરનેટના ઉપચારો અથવા સરખામણીની વાર્તાઓ મૂંઝવણ, ચિંતા અને બિનજરૂરી દબાણ ઊભી કરી શકે છે. મેડિકલ સલાહ આપવાનો પ્રયાસ કરવાને બદલે સગાંઓએ પ્રોત્સાહન, વ્યાવહારિક સહાય અને ભાવનાત્મક હાજરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઘણી વખત થાય છે એવું કે આ જ ઘરના લોકો કે પરિવારજનો દરદીને ટેકો આપવાને બદલે તેને સતત સલાહ આપ્યા કરે છે. સગાંઓએ દરદી પ્રત્યે દયા દર્શાવવાનું પણ ટાળવું જોઈએ. દરદીને સહાનુભૂતિ અને કાળજી આવશ્યક છે ત્યારે પરિવારજનોએ સંવેદનશીલતા, ધીરજ અને સમજણ કેળવવી જરૂરી છે. કૅન્સરના દરદીને ટેકો આપવા માટે પ્રેરક ભાષણોની જરૂર હોતી નથી. ઘણી વાર માત્ર હાજર રહેવું, શાંત રહેવું, અપૉઇન્ટમેન્ટ્સમાં તેમની સાથે જવું અથવા સકારાત્મકતા જાળવી રાખવી જેવાં સરળ કાર્યો સાર્થક સાબિત થતાં હોય છે.