પાસ્તાથી લઈને પેસ્ટ્રી સુધીની દરેક ડિશ અહીં ટોટલી ગિલ્ટ-ફ્રી મળે છે

31 January, 2026 02:43 PM IST  |  Mumbai | Darshini Vashi

મલાડ લિંક પરની કૅફે એમરલ્ડમાં ખજૂર, મધ, મલ્ટિગ્રેન, સોયા મિલ્ક જેવી વસ્તુનો ઉપયોગ કરીને દરેક ફૂડ ડિશ તૈયાર કરવામાં આવે છે

કૅફે એમરલ્ડ

શું શુગર અને મેંદા વગર પણ ટેસ્ટી અને લાજવાબ ડિશ બની શકે છે? તો એનો જવાબ છે હા. મલાડ લિંક રોડ પર આવેલી કૅફે એમરલ્ડમાં પાસ્તા, પીત્ઝા, સૅન્ડવિચ, કેક, સ્મૂધી, જૂસ, રૅપ સહિતની દરેક વસ્તુમાં મેંદો અને શુગર વાપરવામાં આવતાં નથી એટલે કે એમ કહી શકાય કે અહીં મળતી તમામ ડિશ ટોટલી ગિલ્ટ-ફ્રી છે. આવો હેલ્ધી ફૂડ લાવવા માટેનો હેલ્ધી વિચાર કૅફેનાં ઓનરને ક્યાંથી આવ્યો એ જાણીએ.

કૅફે એમરલ્ડનાં ઓનર હિરલ ગરાચ કહે છે, ‘પહેલાં હું ઘરેથી જ કેક બનાવતી હતી પરંતુ મારે એમાં કંઈક યુનિક લાવવું હતું જે હેલ્ધી હોય. જેમ કે પીત્ઝા, જેનો બેઝ મેંદાનો હોય છે જેને લીધે એની ગણના અનહેલ્ધી ફૂડમાં થાય છે એટલે અમે એના બેઝને ચેન્જ કરીને મલ્ટિગ્રેનનો કર્યો છે. એવી જ રીતે કેક, જે નાના-મોટા દરેકની પ્રિય છે એને પણ અમે ટોટલી હેલ્ધી રૂપ આપ્યું છે. જેમ કે કેક બનાવવા માટે મેંદાના બદલે નાચણીના લોટનો ઉપયોગ કર્યો છે અને મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ કર્યો છે. કેક જ નહીં, અન્ય ડિઝર્ટ આઇટમમાં પણ અમે નાચણી અને ખજૂરનો જ ઉપયોગ કર્યો છે. જોકે મેંદો અને શુગરના રિપ્લેસમેન્ટમાં નાચણી અને ખજૂરનો ઉપયોગ કર્યો હોવા છતાં દરેક ડિઝર્ટ આઇટમનો ટેસ્ટ કસ્ટમર્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. કૉફી, સ્મૂધીમાં પણ અમે આમન્ડ મિલ્ક અને ઓટ મિલ્કનો વિકલ્પ આપીએ છીએ. આમ અમે દરેક ફૂડ-આઇટમની અનહેલ્ધી વસ્તુઓને દૂર કરીને એમાં હેલ્ધી વસ્તુઓને ઉમેરી છે.’

ક્યાં મળશે? કૅફે એમરલ્ડ, શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરની બાજુમાં, ન્યુ લિન્ક રોડ, મલાડ (વેસ્ટ)

malad food news indian food mumbai food street food life and style lifestyle news columnists