આગથી, વાઘથી અને સાપથી ડરવાવાળા તો જોવા મળે; પણ પાપથી ડરનારા?

25 June, 2026 11:37 AM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

૩૬ વર્ષનો યુવક, કપડાં કહે છે કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી. મુખ પરની વ્યગ્રતા જોઈને લાગે કે મુશ્કેલીમાં છે. ચાલમાં રહેલી ચંચળતા કહે કે ઉતાવળ પણ છે. 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘મહારાજસાહેબ, દોષનું સેવન થયું છે. એનું પ્રાયશ્ચિત્ત લેવા આવ્યો છું.’ 

૩૬ વર્ષનો યુવક, કપડાં કહે છે કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી. મુખ પરની વ્યગ્રતા જોઈને લાગે કે મુશ્કેલીમાં છે. ચાલમાં રહેલી ચંચળતા કહે કે ઉતાવળ પણ છે. 

‘બોલ, શેનું પ્રાયશ્ચિત્ત લેવું છે?’

‘આપે સામુદાયિક અઠ્ઠમ તપની આરાધનામાં જોડાવા પ્રવચનમાં પ્રેરણા કરી અને એ આરાધનામાં જોડાવા મારું નામ સંઘની પેઢી પર લખાવેલું. અઠ્ઠમની ભાવનાવાળા તપસ્વીઓને એક ભાગ્યશાળી તરફથી અત્તરવાયણા કરાવવામાં આવ્યા. એમાં હું જમવા ગયો. અઠ્ઠમના પહેલા દિવસે ઉપવાસનું પચ્ચક્ખાણ મેં લીધું. પહેલી વાર અઠ્ઠમ કરતો હતો એટલે એકસાથે ૩ ઉપવાસના પચ્ચક્ખાણ લેવાને બદલે એક જ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું. મનમાં હતું કે એક ઉપવાસ સરસ જાય તો બીજા બે ઉપવાસ કરીશ, નહીંતર એક ઉપવાસ પછી પારણું કરી લઈશ.’

‘એક ઉપવાસ સરસ ન થયો?’

‘સરસ જ થયો, પણ બન્યું એવું કે પહેલા ઉપવાસે રાતે મારી પત્નીની તબિયત એકદમ બગડી. ડૉક્ટરને ઘરે બોલાવ્યા. તેમણે હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. હું તેને લઈને હૉસ્પિટલ ગયો. તેની પાસે હાજર રહેવું જરૂરી હતું એટલે હું તેની પાસે હૉસ્પિટલમાં રહી ગયો. આખી રાતનો ઉજાગરો, સવારે શરીર સાવ સુસ્ત થઈ ગયું. થયું કે બે ઉપવાસ નહીં ખેંચાય. મેં પારણું કરી લીધું. પત્નીને ખ્યાલ આવી ગયો. તેના શરીરમાં ગ્લુકોઝ ચડતો હતો અને નાકમાં નળી હતી છતાં તેણે ધીમા અવાજે મને વાત કરી કે તમે અઠ્ઠમની ગણતરીએ જ અત્તરવાયણામાં જમવા ગયા હતાને? તમને પહેલો ઉપવાસ એવો આકરો નહોતો પડ્યો જેને લીધે તમારે પારણું કરી લેવું પડે; થોડાક મક્કમ રહ્યા હોત તો તમારો અઠ્ઠમ પૂરો થઈ જાત, પણ તમે ઢીલા પડી ગયા અને પારણું કરી લીધું; જાઓ, હવે આચાર્ય મહારાજ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લઈ આવો. અઠ્ઠમની ગણતરીએ અત્તરવાયણાનું જમ્યા અને કારણ વિના પારણું કરી લીધું એ સંઘનો એક જાતનો વિશ્વાસઘાત કહેવાયને?’
‘મારી પત્નીએ કહ્યું છે કે આચાર્ય મહારાજ પાસે આનું પ્રાયશ્ચિત્ત માગો ત્યારે એક વાત એ પણ કરજો કે મારી તબિયતના હિસાબે તમારે અઠ્ઠમ છોડવો પડ્યો છે. જો એનું કોઈ પ્રાયશ્ચિત્ત મારે લેવાનું હોય તો એ મારા માટે લેતા આવજો.’

આગથી, વાઘથી અને સાપથી ડરવાવાળા માણસો તો ઠેર-ઠેર જોવા મળે; પાપથી ડરવાવાળા માણસોનાં દર્શન તો સાચે જ દુર્લભ છે. એવા માણસોનાં દર્શન થાય છે ત્યારે સાચે જ દિલ આનંદિત થાય છે. જગતના એક પણ માણસના લમણે એવું દુર્ભાગ્ય ઝીંકાયું નથી કે તેને ગુરુ તરીકે પોતાનું અંતઃકરણ ન મળ્યું હોય.

culture news jain community lifestyle news life and style columnists