13 May, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષિતા મુદગલ
‘ભાખરવડી’ અને ‘હાફ મૅરેજ’ સહિતની સિરિયલ કરી ચૂકેલી ઍક્ટ્રેસ અક્ષિતા મુદગલ અત્યારે સોનીના ‘ઇશ્ક પર ઝોર નહીં’માં ‘ઇશ્કી’ના પાત્રમાં દેખાઈ રહી છે. તેની સાથે અહાનના રોલમાં ઍક્ટર પરમ સિંહ છે. ઇશ્કી અને અહાન બન્નેનો દૃષ્ટિકોણ તદ્દન જુદો છે, છતાં બન્ને એકબીજાને મળતાં રહે છે. પ્રેમિકા ઉપરાંત અક્ષિતાનું પાત્ર સોશ્યલ અવેરનેસ ફેલાવતું પણ રહે છે. તેનું પાત્ર પિતૃસત્તાક નિયમોને લઈને સવાલ કરે છે. સ્ત્રીઓના સમાજમાં મહત્ત્વ વિશે ચર્ચા કરે છે.
આ વિશે અક્ષિતાએ કહ્યું કે ‘મારા પાત્ર ઇશ્કીની જેમ હું પણ માનું છું કે સ્ત્રીઓએ પહેલાં ફાઇનૅન્શિયલી આત્મનિર્ભર બનવું જોઈએ. તે તેમના સંબંધોમાં સમાનતા માટે અત્યંત જરૂરી છે.
ફાઇનૅન્શિયલી સ્ટ્રૉન્ગ વુમનમાં આપોઆપ આત્મવિશ્વાસ આવે છે કે જો તેનાં લગ્ન સફળ નહીં થાય તો તે એમાંથી બહાર પણ નીકળી શકે છે. તેનામાં ઘરની જરૂરિયાત પૂરી કરવાની કે પાર્ટનર પરનું અવલંબન ખતમ થઈ જાય છે. સ્ત્રીઓ તો જ પોતાના નિર્ણય લઈ શકશે જો તે આર્થિક રીતે મજબૂત હશે તો.’
‘ઇશ્ક પર ઝોર નહીં’માં અત્યારે ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકો ગયા છે અને ઇશ્કી અને અહાન અત્યારે રોડ-ટ્રિપ પર છે. અક્ષિતાએ જણાવ્યું કે અમારી રોડ-ટ્રિપ મારી ફેવરિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની સ્ટોરીલાઇનને મળતી આવે છે.’