10 November, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારથી સોની સબ પર શરૂ થશે સીરિયલ
ભાઈબીજ અને સોમવારથી સોની સબ પર શરૂ થનારા શો ‘કાંટેલાલ એન્ડ સન્સ’માં વાત બે બહેનો અને તેના પિતાની છે પણ હકીકત એ છે કે આ શો સત્યઘટના પર આધારીત છે. રોહતકમાં આકાર લેતી આ વાર્તા હકીકતમાં યુપીના એક નાનકડા ગામની છે જ્યાં બે બહેનોએ તેના પપ્પાની નાદુરસ્ત તબિયત વચ્ચે એવું કામ હાથમાં લીધું હતું જે કામ પર સદીઓથી પુરુષોની ઇજારાશાહી રહી છે. મરાઠી એક્ટર અશોક લોખંડે પિતાની ભૂમિકામાં છે તો તેની દીકરીનું પાત્ર મેઘા ચક્રવર્તી અને જિયા શંકર કરે છે.
સપનાઓને કોઈ જેન્ડર નથી હોતી, એવી વિચારધારા સાથે આગળ વધતી વાર્તામાં બહેનો ગરિમા અને સુશીલા રોહતકમાં પોતાના પિતાની બાર્બર શોપ ચલાવવાની જવાબદારી લે છે. પિતા ધરમપાલની આ પૂર્વજોની દુકાન છે એટલે તેમણે દુકાનને કાંટેલાલ એન્ડ સન્સ નામ આપ્યું છે અને નામમાં ‘સન્સ’ આવે છે એટલે દીકરીઓ તે ચલાવી ન શકે એવું પણ એ માને છે પણ પિતાની નાદુરસ્ત તબિયત અને ઘરની આર્થિક પરિસ્થિતિને જોઈને બન્ને દીકરીઓ દુકાનની જવાબદારી લે છે અને સક્ષમ હેરડ્રેસર બનવાનાં, પરિવારનો ધંધો આગળ વધારવાનાં સપનાંઓને સાકાર કરવામાં લાગે છે. આ સફરમાં કેવીકેવી તકલીફો પડે છે એની વાત ‘કાંટેવાલા એન્ડ સન્સ’માં કહેવામાં આવી છે.