10 October, 2021 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્ષંદા ખાન
રક્ષંદા ખાન ઝીટીવીના શો ‘તેરે બિના જિયા જાયે ના’માં રૉયલ અવતારમાં જોવા મળવાની છે. અંજલિ તતરારી આ સિરિયલમાં ક્રિષ્ના ચતુર્વેદીના રોલમાં જોવા મળી રહી છે. તે દેવરાજનું પાત્ર ભજવનાર અવિનેશ રેખીના સંપર્કમાં આવે છે. તેનાં સપનાંઓ પર રજવાડી પ્રથા અને રીતિરિવાજોનું ગ્રહણ લાગે છે, પણ ત્યાર બાદ તેને દેવરાજની પત્નીનો દરજ્જો પણ મળી જાય છે. કહાની અહીં અટકતી નથી. અહીંથી જ શરૂ થાય છે ટ્વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ. તેની મુલાકાત જયાલક્ષ્મીનું પાત્ર ભજવતી રક્ષંદા સાથે થાય છે. તેને જયામા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાળકોની દેખભાળ કરતી હોય છે. દેવરાજના પિતા તેને બહેન માને છે. બાદમાં તો તે આખા પરિવારની સંભાળ લેવાની સાથે જ બધા વ્યવહાર પણ સંભાળવા માંડે છે. પોતાના આ રૉયલ અવતાર વિશે રક્ષંદાએ કહ્યું કે ‘મેં ભજવેલા તમામ શો કરતાં ‘તેરે બિના જિયા જાયે ના’ અલગ હોવાથી મને તરત જ એ પસંદ પડ્યો હતો. એવા કેટલાય શો છે જેનો અંત પરીઓની કથા પર થાય છે. જોકે આ જ એકમાત્ર એવો શો છે જેની શરૂઆત પરીઓની કથાથી થાય છે. ત્યાર બાદ જેકંઈ થાય છે એ જોવા જેવું છે. શોમાં ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ જોવા મળશે. પહેલી વખત આવો રૉયલ અવતાર ભજવવા મળવાથી હું ઉત્સાહી છું. મને આશા છે કે લોકો મને આ નવા લુકમાં એન્જૉય કરશે. મારું પાત્ર જયામા રૉયલ વ્યવહાર ધરાવે છે. સાથે જ બ્રિલિયન્ટ બિઝનેસ માઇન્ડની સાથે તે રજવાડી પરંપરા પણ નિભાવે છે. એના પાત્રમાં અનેક લેયર્સ પણ જોવા મળશે. એથી એ પડકારજનક હોવાની સાથે મજેદાર પણ છે. મને આશા છે કે લોકો મારા પર અને આ શો પર પ્રેમ વરસાવશે.’