18 August, 2022 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ઘણી નાજુક છે. તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. વાસ્તવમાં, રાજુ શ્રીવાસ્તવને ભૂતકાળમાં હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
તે જ સમયે, હવે ફરી એકવાર તેમની તબિયત લથડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ નાજુક છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ ભાનમાં આવ્યા નથી.
થોડા દિવસો પહેલાં રાજુ શ્રીવાસ્તવને હળવો તાવ આવ્યો હતો. ડૉક્ટર્સ કહે છે કે તેમને તાવથી બચવા માટે દવા આપવામાં આવી રહી છે, પરંતુ તાવ આવવો એ પણ સંકેત છે કે શરીર સામાન્ય રીતે વર્તે છે.
રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યાને એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેઓ ભાનમાં આવ્યા નથી. તેમનું હૃદય અને નાડી લગભગ સામાન્ય રીતે કામ કરી રહ્યા હતા, પરંતુ મગજના એક ભાગમાં ઈજાના નિશાન છે. મગજમાં ઓક્સિજનની અછતને કારણે આ ઈજા થઈ છે. શુક્રવારે 13 ઑગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે માથાના ઉપરના ભાગમાં મગજના ભાગમાં કેટલીક ફોલ્લીઓ જોવા મળી હતી. ડૉક્ટરો આ સ્થળોને ઈજાઓ હોવાનું જણાવી રહ્યા છે.