દિશા વાકાણીના કમબૅક વિશે પ્રોડક્શન હાઉસને જાણ હશે : દિલીપ જોશી

27 May, 2022 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો મનોરંજક ન હોત તો મેકર્સે એને બંધ કરી દીધો હોત. જોકે એક ઍક્ટર તરીકે હું શોના શૂટિંગને એન્જૉય કરું છું અને દર્શક તરીકે મને લાગે છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આગળ પણ મનોરંજન આપતો રહેશે.’

દીલિપ જોશી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણી શોમાં પાછી ફરશે કે નહીં એ વિશે પ્રોડક્શન હાઉસને જાણ હશે એવું દિલીપ જોશીએ જણાવ્યું છે. આ સિરિયલમાં જેઠાલાલ ગડાના રોલમાં દિલીપ જોશી જોવા મળી રહ્યો છે. દયા અને જેઠાલાલની જોડી લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડે છે. દિશાએ પાંચ વર્ષ અગાઉ દીકરીને જન્મ આપ્યા બાદ ફરીથી હવે દીકરાને જન્મ આપ્યો છે. દયાનું પાત્ર ફરીથી શોમાં દેખાશે કે નહીં એ વિશે દિલીપ જોશીએ કહ્યું કે ‘છેલ્લાં પાંચ વર્ષથી દિશાએ આ શોમાંથી બ્રેક લીધો છે. હવે તે પાછી આવવાની છે કે નહીં એ તો માત્ર પ્રોડક્શન હાઉસને જ ખબર હશે અને હું એમાં ઊતરવા નથી માગતો. મને એ વાતની ખુશી છે કે જ્યારે દયા શોમાં હતી ત્યારે જે પ્રકારે લોકો અમને પ્રેમ આપતા હતા એ જ પ્રકારે આજે પણ અમારા આ શોને પ્રેમ અને ધ્યાન આપે છે. આ સિરિયલ છેલ્લાં ૧૦ વર્ષથી પણ વધારે સમયથી ચાલે છે. જો આ શો મનોરંજક ન હોત તો મેકર્સે એને બંધ કરી દીધો હોત. જોકે એક ઍક્ટર તરીકે હું શોના શૂટિંગને એન્જૉય કરું છું અને દર્શક તરીકે મને લાગે છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આગળ પણ મનોરંજન આપતો રહેશે.’

television news entertainment news taarak mehta ka ooltah chashmah disha vakani dilip joshi